________________
યુગે યુગે પાટણની પ્રભુતા
અમદાવાદના રાજમાર્ગો એટલા પહોળા હતા કે દશ દશ ગાડા એકીસાથે ચાલી શકતા હતા. એ જ રીતે પાટણમાં પણ ચૌર્યાસી ચૌટા અને બાવન બજાર હોવાનો ઉલ્લેખ મળી આવે છે. વિદ્વાનોએ પાટણને ‘‘નરસમુદ્ર’’ ની ઉપમા આપી છે પાટણના મહોલ્લા, પોળો, શેરીઓ, પાટણ અને વાડાના નામો અમદાવાદની પોળો અને અમદાવાદના મહોલ્લાને પણ આપવામાં આવ્યા છે.
૭૩
સૌ પ્રથમ પાટણના ભદ્રના કિલ્લા ઉપરથી અમદાવાદમાં પણ ભદ્રનો કિલ્લો બાદશાહે પ્રથમ બનાવ્યો. પાટણના ત્રણ દરવાજા યાને ત્રિપોળીયા જેવા ત્રણ દરવાજા અમદાવાદમાં છે. એટલું જ નહિ પાટણમાં ત્રિપોળીયા પાસે ગણિકાઓનો વસવાટ ગણિકાની હવેલી હતી એ જ રીતે અમદાવાદમાં પણ ત્રણ દરવાજા પાસે એક વખત ગણિકાઓનો લત્તો હતો અને પાનકોર નામની સૌદર્ય સામ્રાજ્ઞીના નામ ઉપરથી જ પાનકોરનાકા કહેવાય છે.
કટક એટલે લશ્કરમાં પુરવડો પહોંચાડનાર વહેપારીઓ ‘કટકીયા' કહેવાતા. એમના વસવાટવાળો મહોલ્લો તે અમદાવાદમાં ‘કટકીયાવાડ' કહેવાય છે. જ્યારે પાટણમાં અભ્યાસગૃહ પાસે કટકીયાવાડો આવેલો છે.
અમદાવાદમાં ઘીકાંટા વિસ્તાર છે. જ્યાં ઘીનું નામનિશાન નથી. જ્યારે પાટણના વડલી ગામે ઘી કાંટો હોવાનું કહેવાય છે. હાલના નવા પાટણમાં પણ ત્રણ દરવાજા પાસે ઘી બજારમાં ઘીકાંટો આવેલો છે.
પાટણમાં સાંકડીશેરી, રતનપોળ, સાળવીવાડો, કસુંબીયાવાડો, ઢાલગરાની પોળ, દોશીવાડો, કટકીયાછાડો, વાધેશ્વરીની પોળ, ભંડારીપાડો, શામળાજી, ખેતરપાળનો પાડો, ખત્રીવાડો, ઝારોળાની ખડકી, ખાપગરાની પોળ, સરૈયાવાડો, વાધવાળી માતાની પોળ આવેલ છે. એ જ રીતે અમદાવાદમાં પણ રતનપોળ, સાલવીવાડ, કસુંબાવાડ, ઢાલગરવાડ, દોશીવાડો, કટકીયાવાડ, ભંડેરીપોળ, ખત્રીવાડ, વાધેશ્વરી પોળ, શામળાની પોળ, ખેતરપાળની પોળ, ઝારોળાની પોળ, સરૈયાની પોળ, ખાપગરાની પોળ, વગેરે એક સરખા નામની પોળો આવેલી છે.
દશ દશ ગાડા સાથે ચાલી શકે એવા પહોળા રાજમાર્ગો ધરાવતા અમદાવાદમાં આજની શેરીઓ ધણી જ સાંકડી બની ગઇ છે. મહોલ્લા, પોળો અતિ સાંકડા બનાવવાનો રોગ વ્યાપક રીતે સમગ્ર ગુજરાતમાં લાગુ પડચો છે. પાટણમાં સાળવીવાડો, સોનીવાડો, ઘીવટો વગરે તમામ મહોલ્લાઓની પોળો સાવ સાંકડી બની ગઇ છે. અમદાવાદમાં પણ આજ પરિસ્થિતિ છે અને એટલે જ કહેવાયું છે કે, ‘‘ગુજરાત શેરી સાંકડી રે લોલ.’’
અમદાવાદની કેટલીક શેરીઓ એટલી સાંકડી છે કે આગ લાગે તો પાણીનો બંબો પણ જઇ ન શકે અને છેલ્લા ઘેર કોઇનું મરણ થાય તો મડદું બાંધી શેરીની બહાર કાઢવાનું મુશ્કેલ હોવાથી મડદાને શેરીની બહાર લઇ જઇ પછી નનામી બાંધવામાં આવે છે.
એક જમાનાનું ભવ્ય અમદાવાદ બાદશાહ જહાંગીરના વખતમાં ભંગાર બની ગયું હતું. કાશ્મીરની હરિયાળી કુંજોમાં વિહરનાર રસિક બાદશાહ જહાંગીર અમદાવાદ જોઇ કંટાળી આ શહેરને ગર્દાબાદ (ધૂળનું શહેર), બિમારીસ્તાન (રોગનું શહેર), અને ઝહન્નમાબાદ (નરકનું શહેર) કહી નાખ્યું છે.