________________
-
-
-
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૫ કરવા જાય છે. રાત્રે ચાર રસ્તાના ચોકડામાં દીવો પ્રગટાવી મેંશ પાડી આંખોમાં મેંશ આંજે છે. પટ્ટણીઓ ગર્વથી કહે છે કે, કાળી ચૌદશની મેંશના આંજ્યા કોઈના ના જાય ગાંજ્યા.” આસો વદ અમાવસ ‘દિવાળી' ના મહાપર્વ તરીકે ઉજવાય છે. વહેપારીઓ આ દિવસે ચોપડા પૂજન કરે છે, અને શ્રી મહાલક્ષ્મી માતાના દર્શન કરવા જાય છે. શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર પાટણમાં એક જ છે. પાટણની વસ્તી વધારો તથા વહેપારીવર્ગમાં વધારો થયો હોવાથી મંદિરમાં ભારે ભીડ થાય છે. તેથી પાટણમાં સરદાર ગંજબજારમાં બીજું નવું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર વહેપારી ભાઈએ બનાવ્યું છે.
- કારતક સુદ એકમ (બેસતું વર્ષ) નૂતન વર્ષનો પ્રથમ દિવસ છે. મંદિરોમાં અન્નકુટ ગિરિરાજના દર્શન થાય છે. સાંજે શ્રી કાળીકા માતાજીનો મેળો ભરાય છે. કારતક સુદ બીજના દિવસે બહેનના ઘેર ભાઈ જમવા જાય છે. આ દિવસે કોઠાકૂઇ દરવાજા બહાર શ્રી ભૈરવદાદાના મંદિરમાં ભવ્ય મેળો ભરાય છે. કારતક સુદ ત્રીજના દિવસે શ્રી સિંધવાઇ માતાજીનો મેળો ભરાય છે. કારતક સુદ પાંચમના દિવસે પણ શ્રી સિંધવાઇ માતાજીનો મેળો ભરાય છે અને રાત્રે રોશની થાય છે.
કારતક સુદ પુનમના રોજ ખાનસરોવર દરવાજા બહાર શ્રી બહુચર માતાજીના મંદિરે જૈનોનો પટનો મેળો બપોર સુધી ભરાય છે. સાંજે ઇતર લોકો મેળામાં જાય છે. કારતક સુદ ચૌદશ થી કારતક વદ પાંચમ એમ સાત દિવસ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ “શ્રી પદ્મનાભ ભગવાન' નો મેળો ભરાય છે. દરરોજ રાત્રે મેળામાં લોકોની ભીડ હોય છે. આ મેળાઓમાં પ્રજાપતિઓ ઉપરાંત તમામ જ્ઞાતિના લોકો હોંશભેર ભાગ લે છે. જગ્યા વિશાળ હોઇ પાટણનો આ મોટામાં મોટો મેળો ગણાય ગામનાં અને બહાર ગામના લોકો પોતાના બાળકોને ગોળ કે શાકરથી પદ્મનાભમાં જોખે પણ છે. જયારે છેલ્લા દિવસે તો મેળામાં લોકોની ભીડ મોટા પ્રમાણમાં હોય છે. પાટણમાં ભરાતા તમામ મેળાઓમાં કારતક વદ પાંચમનો પદ્મનાભનો મેળો સૌથી મોટો છે.
ફાગણ વદ એકમ (ધૂળેટી) ના દિવસે ફાટીપાલ દરવાજા બહાર જૈન છાત્રાલયમાં જૈનોનો પટ્ટદર્શન મેળો ભરાય છે, અને ભાદરવા સુદ બીજના દિવસે મીરાં દરવાજા બહાર અગાસીયા વીરની સામે ‘દાદાના સ્તુપે” કેટલાંક જૈનો દર્શન કરવા જાય છે. વળી કારતક સુદ એકમ થી પાંચમ સુધીમાં જૈન ભાઈ-બહેનો સમૂહમાં પોતાના જૈન મંદિરોની પ્રદક્ષિણા ચૈત્યપરિપાટી કરી લગભગ સવાસો દેરાસરોનાં દર્શને જાય છે.
આસો સુદ એકમથી નોમ એમ નવ દિવસ “નવરાત્રિ' પાટણમાં ભવ્ય રીતે રાસ, ગરબા, લ્હાણી કરી જુદા-જુદા મહોલ્લામાં ઉજવાય છે. ચૈત્રી નવરાત્રિ પણ ઉજવાય છે. આ રીતે પાટણમાં મેળાઓ ભરાય છે અને ઉત્સવો ઉજવાય છે. કેટલાક મુસ્લિમ મેળાઓ પણ ભરાય છે.
પાટણમાં મુસલમાનોના પણ ઘણા મેળાઓ ભરાય છે. જ્યાં ઉર્સ, કવ્વાલીના જલસા યોજાય છે. પાટણમાં ટોપલા ઉજાણીઓ પણ થાય છે. આમ પાટણના તમામ વર્ગના લોકો ઉત્સપ્રિય છે. આખું વર્ષ કોઈને કોઈ નિમિત્તે ઉજવણી કરી સંતોષથી આનંદમય જીવન જીવે છે.