________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬
મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ
૪૨
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
ગુજરાતના ઇતિહાસમાં વસ્તુપાલ અને તેજપાલના નામ નોંધપાત્ર છે. વસ્તુપાલ અને એમના નાના ભાઇ તેજપાલ ધોળકા (અસલ નામ ધવલક્ક)ના રાજા વીરધવલના મંત્રીઓ હતા. આ વીરધવલ પાટણના રાજા ભીમદેવ બીજાનો માંડલીક રાજા હતો. તેઓ જૈન કુટુંબમાં જન્મ્યા હતા. વસ્તુપાલ વિચક્ષણ રાજપુરૂષ અને કુશળ સેનાપતિ પણ હતા. મહામાત્યના પદે બિરાજતા હોવા છતાં વિદ્યા અને સાહિત્યના મહાન ઉપાસક અને વિદ્વાનોના આશ્રયદાતા હતા. વળી કર્ણ જેવા મહાન દાનેશ્વરી પણ હતા. વસ્તુપાલ પોતે સંસ્કૃત ભાષાનો મહાન કવિ પણ હતો. વસ્તુપાલે લખેલ ‘“નર નારાયણ’’ મહાકાવ્ય સાચે જ ગણનાપાત્ર છે. આ સિવાય પણ તેમનો સંસ્કૃત સાહિત્યમાં નોંધપાત્ર ફાળો છે. એક જ વ્યક્તિ રાજકીયક્ષેત્રે અજોડ હોવા ઉપરાંત સાંસ્કૃતિક સાહિત્યીક અને ઇતર વિવિધ શાખાઓમાં વિશિષ્ઠ સ્થાન પામે એવા દાખલા ઇતિહાસમાં બહુજ ઓછા જોવા મળે છે.
ગિરિરાજ આબુ અને ગિરનાર ઉપરના સંગે-મરમરનાં સુપ્રસિદ્ધ મંદિરો જે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે તે માહામાત્ય વસ્તુપાલે બંધાવેલા છે. કલાપ્રેમી તરીકેનું આ તેનું જવલંત ઉદાહરણ છે. આ ઉપરાંત તારંગા ડુંગર ઉપર, અણહિલવાડ પાટણ, કલોલ પાસેના શેરથા અને ડભોઇ વગેરે સ્થળોએ પણ વસ્તુપાલ અને તેજપાલે જે મંદિરો બંધાવ્યા છે તે જાણીતાં તીર્થ છે.
વસ્તુપાલ-તેજપાલ એ અગિયાર ભાઇ-બહેનો હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ અને માતાનું નામ કુમારદેવી હતું. અગિયાર સંતાનો પૈકી સાત દીકરીઓ નામે (૧) જાલ્કુ (૨) માઉ (૩) સાઉ (૪) ધનદેવી (૫) સોહગા (૬) વઇજુ અને (૭) પદ્મલદેવી હતી. ચાર પુત્રો નામે (૧) લુણિગ (૨) મલ્લદેવ (૩) વસ્તુપાલ અને (૪) તેજપાલ.
વસ્તુપાલ અને તેજપાલ બંને છેલ્લા સંતાનો હતા. છેલ્લા સંતાનો હંમેશા તેજસ્વી હોવાનું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે.
વસ્તુપાલને બે પત્નિઓ હતી. (૧) લલીતા અને (૨) સોખુ ઉર્ફે વયજલ્લદેવી. તેજપાલને પણ બે પત્નિઓ હતી. (૧) અનુપમા અને (૨) સુહવદેવી. પિતા અશ્વરાજના મરણ પછી બંને ભાઇઓ માતા કુમારદેવી સાથે માંડળમાં રહેવા ગયા અને માતાના મરણ સુધી ત્યાંજ રહ્યા હતા.
‘નર નારાયણાનંદ’’ મહાકાવ્યમાં જણાવ્યા મુજબ વસ્તુપાલ શરૂઆતમાં અણહિલવાડના ભીમદેવ પાસે હતો. ત્યાંથી લોન સર્વિસ ઉપર ધોળકાના રાણાને આપવામાં આવેલ.
વસ્તુપાલ અને તેજપાલે રાજ્ય કારોબારી સંભાળ્યા પછી અનેક યુધ્ધો કરેલા છે. રાજ્યમાં વ્યાપેલી અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, કામચોરી દૂર કરી ધાક જમાવી શાસનને મજબુત બનાવ્યું. જનતાના નૈતિક ધોરણો ઉંચા આવ્યા. લોકો પ્રામાણિકપણે વહેપાર-ધંધો કરવા લાગ્યા.