________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૯
૧૨
પાટણનું કીર્તિ મંદિરઃ સહસ્રલિંગ સરોવર
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
પટ્ટણીઓ જેને સહસ્રલિંગ તળાવના નામે ઓળખે છે તે કોઇ નાનું તળાવ નથી. તેનું સાચું નામ ‘સહસ્રલિંગ સરોવર' છે. તેનું રાજ્ય નામ ‘દુર્લભસરરાજ’ હતું. વળી આ સરોવરને જુદા-જુદા વિદ્વાનો તરફથી ‘સિદ્ધસાગર’, ‘સિદ્ધસર’, ‘મહાસાગર’ આવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવ્યું છે. સરસ્વતી પુરાણમાં આ સરોવરને ‘અમૃત સાગર’ અને ‘સહસ્રલિંગ' તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ સરોવરના કાંઠા ઉપર સહસ્ર (એક હજાર) શિવમંદિરો હતાં. તેથી જ તેને ‘સહસ્રલિંગ’ના નામથી ઓળખાતું હતું.
મહાપ્રતાપી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે આ સહસ્રલિંગ સરોવર બંધાવ્યું હતું. કેટલાક ઇતિહાસકારો આ સરોવર દુર્લભરાજે બંધાવ્યું હોવાનું પણ જણાવે છે. સરસ્વતી પુરાણ જણાવે છે કે, સહસ્રલિંગ સરોવરનું સ્થાપત્ય સિદ્ધરાજે કર્યું હતું. ઐતિહાસિક પ્રમાણો અને નક્કર અનુમાનો વડે એમ જર્ણાય છે કે, સિદ્ધરાજે સરોવર ‘દુર્લભ સરોવર' ના સ્થાન ઉપર બંધાવ્યું હતું અને પિતૃઓનું તે સ્મારક ભૂંસાઇ ન જાય,તે માટે તેનું રાજ્યપ્રણીત નામ ‘દુર્લભસરરાજ’ રાખ્યું હતું.
સહસ્રલિંગ નામ તેના કાંઠા ઉપરના સહસ્ર શિવમંદિરોના કારણે કહેવામાં આવતું નામ આજે પણ જનસમાજમાં સુપ્રસિદ્ધ છે. દુર્લભ સરોવર પાણી વિહીન હતું. સિદ્ધરાજને એક રાત્રે પોતાના નગરનું જળ વગરનું આ સરોવર દેખાયું અને આથી જ તેને જળ પૂર્ણ કરવા એ જ જગ્યા ઉપર સહસ્રલિંગ સરોવરનું આયોજન કર્યું.
આ સરોવરનો આકાર જુદો-જુદો હોવાની માન્યતા છે. કોઇ તેને વલય, કડું-કુંડળ જેવું ગોળ કોઇ લંબગોળ કહે છે. કોઇ લંબચોરસ માને છે. હાલના ખોદકામ ઉપરથી અષ્ટકોણ આકારનું લાગે છે. તેનો આકાર નિશ્ચિત કહી શકાય તેમ નથી. કારણકે સરોવર વિશાળ હતું અને આજે એ મોટા ભાગે જમીનમાં ધરબાયેલું છે.
આ સરોવરમાં પાણી કેવી રીતે આવ્યું તે માટે વીરમાયાના બલિદાનની વાત પ્રચલિત છે. પરંતુ સિદ્ધરાજ જેવો ધાર્મિક અને પ્રતાપી રાજા નીચલા વર્ગના નિર્દોષ માણસનો ભોગ ચડાવે એ ગળે ઉતરે એવી હકીકત નથી. સરસ્વતી પુરાણમાં અસાડ સુદ ૮ના દિવસે નદીનો પ્રવાહ સરસ્વતિમાંથી નહેર વાટે સરોવરમાં લાવ્યા સ્પષ્ટ ઉલ્લેખ છે.
સિદ્ધરાજે દેવી સરસ્વતીનું આરાધન કર્યું. ત્રણ દિવસ સુધી એકાગ્ર મનથી પ્રાર્થના કરતાં ભગવતી સરસ્વતી પ્રસન્ન થયા અને વરદાન માંગવા જણાવતાં સિદ્ધરાજે આ સરોવર પવિત્ર જળ વડે ભરી દેવા વિનંતી કરી. મા સરસ્વતીએ ‘તથાસ્તુ’ કહી અંતર્ધ્યાન થયા અને મા સરસ્વતીએ જળથી ભરી દીધું. આ પણ એક પૌરાણિક આખ્યાયિકા જ છે.