________________
યુગે યુગે પાટણની પ્રભુતા
વનરાજનો રાજ્યકાળ
પ્રા. મહદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિક્રમ સંવત ૮૦૨માં કરી હતી. પ્રબંધચિંતામણિ, ધર્મારણ્ય, રાસમાળા, રાજવંશાવલી વગેરે ગ્રંથોમાં અણહિલપુરની સ્થાપના માટેના મહિના અલગ અલગ જણાવ્યા છે. પરંતુ વિક્રમ સંવત ૮૦૨નું વર્ષ તો બધા જ ગ્રંથોમાં એક જ જણાવેલ છે.
વનરાજે નાની-મોટી ધણી લૂંટ કરી હતી. લૂંટનો માલ ભેગો કરતો ગયો, તેમ તેમ મિત્રો પણ ભેગા કર્યા. રાજ્યગાદી ઉપર આવ્યા પછી ચાવડાવંશના રાજવીઓ પોતાની લૂંટ કરવાની મનોવૃત્તિ જતી કરી શક્યા ન હતા.
વનરાજ ચાવડાનું રાજ્યાભિષેકનું વર્ષ પણ વિક્રમ સંવત ૮૦૨નું ગણવામાં આવે છે. વનરાજનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેની ઉમ્મર પચાસ વર્ષની હતી. વનરાજે લગભગ સાઈઠ વર્ષ સુધી રાજય કર્યું હતું.
શ્રી શીલગુણસૂરિએ ભાખેલા ભવિષ્ય મુજબ વનરાજ જ્યારે રાજા થયો ત્યારે વનરાજે સમગ્ર રાજ્ય પોતાના ગુરૂશ્રી શીલગુણસુરીના ચરણે ધર્યું, પરંતુ ગુરૂએ તે સ્વીકારવાની ના પાડી, પણ તેમની પ્રેરણાથી વનરાજે અણહિલપુરમાં પંચાસરા પાર્શ્વનાથનું વિશાળ જૈન દેરાસર બંધાવ્યું અને એક આરાધક ભક્તજન તરીકે પોતાની મૂર્તિ પણ સમીપમાં સ્થાપી. તે મૂળ દેરાસર કાળાનુક્રમે નાશ પામતાં હાલના પાટણમાં ખડાખોટડીના પાડા પાસે તદ્ન નવિન દેરાસર બાંધવામાં આવ્યું છે. તેમાં અસલ પ્રતિમાજી પધારવામાં આવેલ છે. આ નવિન દેરાસરમાં વનરાજ ચાવડાની સૂરપાળની તથા શ્રી શીલગુણસુરીની પ્રતિમાઓ વિદ્યમાન છે. આ મૂર્તિઓ અસલી હોવાની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે, પંરતુ ચાવડાઓ જૈન યતિઓને ખૂબ જ માન આપતા અને ચૈત્યવાસીઓનો સત્કાર કરતા હતા. એ ચોક્કસ વાત છે એ સંબંધી એક દુહો પણ પ્રચલિત છે.
સિસોદીયા સાંડેસરા, ચઉદશિયા ચૌહાણ,
ઐયાવાસીઓ ચાવડા, કુલગુરૂ એક વખાણ. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૮૦૨ના વૈશાખ સુદ-૨ ગણાય છે. રાજ્યાભિષેક વખતે કાકર ગામની શ્રીદેવીને બોલાવી અગાઉ તેને આપેલ વચન મુજબ તેની પાસે રાજતિલક કરાવ્યું અને અગાઉ આપેલ વચન પ્રમાણે જામ્બ વાણિયાને પોતાનો અમાત્ય બનાવ્યો (જુઓ પ્રબંધ ચિંતામણી વનરાજે પ્રબંધ પૃષ્ઠ-૧૮) જામ્બ યાને ચાંપો એ એક જ વ્યક્તિ છે.
વનરાજે પોતાના રાજમહેલ આગળ કંઠેશ્વરી દેવીનું મંદિર બનાવ્યું હોવાની હકીકત પણ પ્રબંધ ચિંતામણિમાં છે.