________________
યુગે યુગે પાટણની પ્રભુતા
નજીકમાં આવતા નવરાત્રીના દિવસોમાં જ્યારે સપાદલક્ષ રાજા પોતાના નિયમાનુસાર દેવીનું આરાધન કરવા ગુંથાશે તે વખત સેનાપતિ બારપ સાથે યુદ્ધ કરી તેને હરાવવો અને પછી જ આપણે સપાદલક્ષ રાજાની એકદમ ખબર લઈ નાખીશું.
એવા સમયે મૂળરાજે હિંમત એકઠી કરી કુનેહથી સાંઢણી ઉપર સવાર થઇ સપાદલક્ષ રાજા જ્યાં પડાવ નાખીને પડ્યો હતો. ત્યાં તેના તંબુમાં ઘૂસી ગયો. મૂળરાજ અચાનક પ્રગટ થવાથી સપાદલક્ષ રાજા કિંચિત્ ભયભીય થઈ સ્તબ્ધ બની ગયો.
મૂળરાજે પડકાર કર્યો કે, હે રાજન્ (સપાદલક્ષી આ ભૂમંડળમાં મારી સાથે યુધ્ધ કરે એવો કોઇ રાજા પાક્યો નથી, છતાં તમો યુધ્ધ કરવા આવ્યા જ છો તો પાછો ફરું ત્યાં સુધી ધીરજ ધરો. એમ કહી પવનવેગે સાંઢણી ઉપર સવાર થઇ મૂળરાજ આવ્યો હતો તેવો અદ્રશ્ય થઇ ગયો.”
સપાદલક્ષની રાવટીમાંથી એકદમ બહાર નીકળી મૂળરાજે બારપના લશ્કર ઉપર ઓચિંતો છાપો માર્યો અને “હર હર મહાદેવ” ના પોકારો કરી, ખેડૂતો દાતરડાથી ઘાસ કાપે તેમ મૂળરાજના' સૈનિકોએ બારપના લશ્કરનો કચ્ચરધાણ વાળી નાખ્યો. મૂળરાજ વિજય મેળવી બારપના દશ હજાર ઘોડા અને અઢાર હાથી લૂંટી લઇ હવે સપાદલક્ષ રાજા સામે લડવા આવી પહોંચ્યો, પરંતુ મૂળરાજના ભવ્ય વિજયના સમાચાર સાંભળીને સપાદલક્ષ રાજા તો ક્યારનોય પલાયન થઇ ગયો હતો.
આ રીતે મૂળરાજે બે દુશમનો ઉપર વિજય મેળવ્યો હોઇ દર સોમવારે શિવદર્શન કરવાનો નિયમ રાખ્યો. મૂળરાજે મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી. મહાદેવજીએ પ્રગટ થઈ આર્શીવાદ આપ્યા કે, “હું અણહિલપુર પાટણમાં મારા તમામ સેવકો સહિત નિવાસ કરું છું.'
આ ભવ્ય મહાદેવના દેવાલયમાં પૂજા કરવા માટે યોગ્ય પૂજારીની શોધ કરવા માંડી. તપાસ કરતાં ભાળ મળી કે, સરસ્વતીના તીરે કંથડી” નામનો મહાન તપસ્વી નિવાસ કરી રહ્યો છે. મૂળરાજ જાતે આ તપસ્વી પાસે ગયો. જ્યારે મૂળરાજ તપસ્વી પાસે ગયો ત્યારે તપસ્વી તાવમાં સપડાયેલો હતો. પરંતુ રાજાનું સન્માન કરવા જવું જ પડે તેથી આ તપસ્વીએ પોતાની એક જૂની પુરાણી ઓઢેલી કંથા (ગોદડી) માં તાવ સમાવી પોતે ઘડીભર તાવ મુક્ત થઇ રાજાનું સન્માન કરી આસન ઉપર રાજાને બેસાડયા.
તપસ્વી અને મૂળરાજ બંને વાતચીત કરવા બેઠા છે. એવામાં રાજાની નજર ખૂણામાં પડેલી કંથા (ગોદડી) ઉપર પડી. કંથા (ગોડદી) થરથર ધ્રુજતી હતી. રાજા અચંબો પામી, તે કંપવાનું કારણ તપસ્વીને પૂછયું. તપસ્વીએ મંદ હાસ્ય કરી કહ્યું, “હે રાજન્ ! હું જવરથી સપડાયેલો હતો. આપનું આગમન સાંભળી અને જવરને હાલમાં શરીરથી વેગળો કરી આ કંથાને સ્વાધીન કર્યો છે. માટે એ કંથા કંપે છે.”
રાજાએ તપસ્વીને પ્રશ્ન કર્યો કે, “જો આપ યોગ બળે જવરનો અલ્પકાળ માટે ત્યાગ કરી શકો છો તો સર્વથા કેમ ત્યાગ નથી કરતા ?'
તપસ્વીએ ઉત્તર વાળ્યો કે, “પૂર્વના સંચિત કર્મથી રોગની પ્રાપ્તિ થાય છે એ રોગ આ દેહ ભોગવવા જ પડે છે. ભોગવ્યા વગર પ્રારબ્ધ કર્મથી મુક્ત થવાતું જ નથી.”