________________
યુગે યુગે પાટણની પ્રભુતા
८
સિદ્ધરાજના જન્મની રોમાંચક કથા
२०
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં પાતાળેવ મહાદેવમાં થયો હતો એવી એક અનુશ્રુતિ છે, પણ તેનો કોઇ ઐતિહાસીક આધાર મળતો નથી. તેવી જ એક બીજી લોકવાયકા છે કે, સિદ્ધરાજનું મૃત્યુ મકરસંક્રાંતિ ઉત્તરાયણના દિવસે થયું હતું માટે આજે પણ મકરસક્રાંતિના દિવસે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડી (ચગાવી) મઝા માણે છે, પણ પાટણમાં પટ્ટણીઓ પતંગ ઉડાડતા નથી. આ વાત સાચી નથી. કારણકે સિદ્ધરાજનું મૃત્યુ પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા મુજબ વિક્રમ સંવત ૧૧૯૯ ના કારતક સુદ-૩ (ત્રીજ) ના દિવસે થયાનું જણાવ્યું છે.
સિદ્ધરાજનો પિતા કર્ણદેવ કર્ણાટકની રાજકુમારી મીનલદેવીને પરણ્યો હતો. મીનળદેવી કદરૂપી હોવાથી રાજાનું મન માનતું નહિ અને લગ્ન પછી રાજા મીનળદેવીને બોલાવતો પણ નહિ. રાજા મીનળદેવી તરફ દૃષ્ટિ પણ કરતો નથી. આમ કેટલાક સમય પછી એક વખત એક અતિ રૂપવાન પણ જાતની ચાંડાલણી સ્ત્રીનું (કેટલીક જગ્યાએ ગણિકા હોવાની દંતકથા છે.) નાચ-ગાન જોઇ રાજા મોહાંધ બન્યો અને તેનો સંગ કરવા કામાતુર બની પોતાના શયનખંડમાં નિમંત્રી. આ વાત વિચક્ષણ મંત્રી મુંજાલના જાણવામાં આવી.
મુંજાલ મહેતા ખૂબ જ હોંશિયાર અને બુદ્ધિમાન મંત્રી હતો. એમણે એક યુક્તિ કરી. મુંજાલ મહેતાએ પોતાના ખૂબ જ વિશ્વાસુ ગુપ્તચર સૈનિકો મારફત તે ચાંડાલણીને પકડી મંગાવી. ચાંડાલણીના કપડાં રાજાની પરણેતર રાણી મીનળદેવીને પહેરાવ્યાં, અને રાજાના શયનખંડમાં અંધકારમાં ચાંડાલણીના વેશમાં મહારાણી મીનળદેવીને મોકલી.
પ્રબંધ ચિંતામણિ નામના મૂળ સંસ્કૃત ગ્રંથમાં આ વાત નીચે મુજબ જણાવી છે.
સાભિલાષ નૃપ મુંજાલમંત્રી કેંચુકિના વિજ્ઞાય તદ્ વેષ
ધારિણ મયણદેવીમેવ ઋતુસ્નાતાં રેહસિ પ્રાહિણોત ા
અર્થાત્ રજસ્વલા થયા પછી ચોથે દિવસે સ્નાન કરાવેલી મીનળદેવીને કંચુકીનો વેશ પહેરાવી મુકરર કરેલા સ્થાનમાં યુક્તિથી મોકલી.
રાજા તો પોતે એમ જ માને છે કે પોતે જેનામાં આસક્ત બન્યો છે, એજ સુંદરી આવી છે. રાજાએ એમ ધારી અપાર પ્રિતથી તેને ભોગવી, જેનાથી તે સ્ત્રી રાણી મીનળદેવીને ગર્ભ રહ્યો. મુંજાલ મહેતાની સૂચના મુજબ રાણી મીનળદેવીએ નિશાની તરીકે રાજાની આંગળીએથી અંગુઠી (વીંટી) કાઢી પોતાની આંગળીએ પહેરી લીધી. રાજાએ પણ તેમાં સંમતિ આપી અને તેમ કરી તે સ્ત્રી (રાણી મીનળદેવી) વિદાય થઇ.