________________
યુગે યુગે પાટણની પ્રભુતા
જીવદયા રાજા કુમારપાળના દિલમાં સચોટપણે વાસ કરીને રહેલી હોવાથી કોઇપણ માણસ જીવવધ કરી શકે જ નહિ તેવું ફરમાન કર્યું હતું. તેની રગેરગમાં જીવદયા જ પ્રસરેલી હતી. સર્વ જીવોને અભયદાન મળેલું હતું. મેવાડના એક વણીકની સ્ત્રીએ માથું જોતાં જોતાં જૂ તુરતજ મારી નાખી. ગુપ્તચરો મારફત આ જૂની થયેલી હિંસા કુમારપાળના જાણવામાં આવતા. તેની શિક્ષામાં તે વણીક પાસે એક જિનમંદિર બંધાવ્યું જે ‘યુકાવિહાર'ના નામથી ઓળખાયું. ‘યુકા' એટલે માથાની જુ.
કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહેલા રાજા કુમારપાળના પગમાં એક મંકોડો ચોંટી ગયો. તેને ઉખેડવા જતાં પણ ઉખડયો નહિ. ત્યારે ચોંટેલા મંકોડાના પ્રાણ બચાવવા અને તેને અભયદાન આપવા શસ્ત્ર વડે જે જગ્યાએ પગમાં મંકોડો ચોંટી ગયો હતો તે ભાગની ચામડી માંસ સહિત કાપી નાખીને તે મંકોડાને મુક્ત કર્યો અને તેની યથાર્થ રીતે રક્ષા કરી. આ રીતે કુમારપાળ પોત પણ ચુસ્ત રીતે અહિંસા વ્રતનું પાલન કરતો હતો. અને પ્રજા પાસે કરાવતો હતો. (૨) અપુત્રિકાધનનો રિવાજ બંધ : (રૂદતીધન જપ્ત કરવાનો કાયદો નાબુદ) ( સિદ્ધરાજ જયસિંહ તેની માતા સાથે સોમનાથની યાત્રાએ ગયેલા ત્યારે રાજ્ય તરફથી યાત્રા વેરો ઉઘરાવવામાં આવતો હતો. માતાના કહેવાથી સિદ્ધરાજે આ યાત્રા વેરો નાબૂદ કરી ખૂબ જ લોકચાહના મેળવી હોવાની હકીકત ઇતિહાસમાં નોંધાયેલ છે. આવી જ રીતે જે સ્ત્રી નિસંતાન ગુજરી જાય તેની તમામ સંપત્તિ રાજ્ય ખજાનામાં જમા કરાવવાનો કાયદો પ્રચલિત હતો.
એક રાત્રિએ ગુપ્ત વેશે કુમારપાળ નગરચર્ચા જોવા-સાંભળવા નીકળેલા ત્યારે અંધારામાં એક વિધવાની આહ સાંભળી તેની પાસે ગયો. વિધવાએ પોતાની કરૂણ કથની કુમારપાળને કહી સંભળાવી. પોતાનો પતિ મરી ગયો. તે નિસંતાન છે. નોંધારાનો કોઈ આધાર નથી. સંપત્તિ બધી રાજ્યમાં જશે. પોતે નિરાધાર બની ભૂખે મરશે. આવી દર્દભરી દાસ્તાન સાંભળી કુમારપાળે તેનું દુઃખ દૂર કરવા ખાત્રી આપી. -
ત્યારે વિધવાએ કહ્યું, “તું કોણ છે મારું દુઃખ દૂર કરનારો ?” ત્યારે રાજાએ ઘટસ્ફોટ કર્યો કે પોતે જ રાજા કુમારપાળ છે. કુમારપાળે તુરતજ ઢંઢેરો પીટાવ્યો અને જે પુરૂષને સંતાન ન હોય તેનો વારસો રાજા લઇ લે એ પ્રથા સદંતર બંધ કરાવી. કુમારપાળે આવા પ્રકારનું ધન લેવાનો રાજ્યનો અધિકાર રદ કર્યો. રાજ્યની ઘણી મોટી આવક જતી કરીને કુમારપાળે ભારે લોકચાહના મેળવી હતી.
કુમારપાળ પછી રાજ્ય મેળવવા માટે અજયપાળે કુમારપાળને દૂધમાં ઝેર આપ્યું હોવાની વાત પ્રચલિત છે. આ અજયપાળ તે કુમારપાળના ભાઇ મહીપાળનો પુત્ર. તે કુમારપાળનો સગો ભત્રીજો હતો. કુમારપાળ અપુત્ર હોવાથી અજયપાળ ગાદી પર આવ્યો.
અજયપાળ જૈન ધર્મનો કટ્ટર વિરોધી હતો એમ ધણા પ્રબંધોમાં જણાવ્યું છે. અજયપાળે પોતાના રાજ્યારોહણનો વિરોધ કરનાર આમભટ મંત્રીને સૈનિકો પાસે મારી નંખાવ્યો હતો. શ્રી હેમચંદ્રાચાર્યના મુખ્ય શિષ્ય રામચંદ્રને તાંબાના તપાવેલા પાટલા ઉપર બેસાડી મારી નંખાવ્યો. અજયપાળે કપર્દી મંત્રીને ઉકળતા તેલના ચરૂમાં નાખી મારી નંખાવ્યો. અજયપાળ પરમ માહેશ્વર હતો.