________________
૧૩૦
આચારપ્રદીપ
ઇત્યાદિ ભય બતાવવા પૂર્વક કાકજંઘ ક્યાં છે એમ રોષપૂર્વક પૂછ્યું. ચતુર બુદ્ધિવાળા અને કાર્યને જાણનારા એવા કોકાશે પણ મનમાં કંઇક વિચારીને કાકજંઘ રાજા અત્યારે કઇ સ્થિતિમાં છે, કયા સ્થાને છૂપાઇને રહ્યો છે ઇત્યાદિ જે કાંઇ કહેવા યોગ્ય હતું તે સાચે સાચું જ જણાવી દીધું. સમુદ્રની અગાધતાની જેમ તેવા પ્રકારના શુદ્ધબુદ્ધિવાળાઓના હૃદયની અગાધતાને કોણ જાણી શકે ? ત્યાર પછી જાણે ત્રણેય ભુવનના ઐશ્વર્યનો પ્રકર્ષ પ્રાપ્ત થઇ ગયો ન હોય એમ અતિહર્ષિત થયેલો, જેના શરીરમાં રોમાંચ ખડા થઇ ગયા છે એવો, અતિશય ઉન્મત્ત થયેલો, જાણે યમરાજ ન હોય એની જેમ ઉદ્ભટ એવા પોતાના સુભટોની સાથે એકાએક જ સ્વયં પોતાના મહેલમાંથી કાકજંધ રાજાનો નિગ્રહ કરવા માટે નીકળ્યો. કાગડાની જેમ નાશી ગયેલો વરાકડો કાકજંઘ ક્યાં છે ? ક્યાં છે ? ઇત્યાદિ જેવા તેવા વચનોને બોલતા અને સામે ધસી આવતા મોટા શિકારીની જેમ તેવા પ્રકારના તેને જોઇને અતિ ભયંકર આ શું ? એમ અતિશય આકુળવ્યાકુળ થયેલા રાજા અને રાણી એમ બંને પણ જેટલામાં ત્રાસ પામવાથી આકુળ થયેલા હરણ અને હરણી જેવું આલંબન લે છે. તેટલામાં અતિશય દોડી આવતા કલિંગ રાજાના સુભટોએ મયૂરિકા બંધની જેમ બાંધીને બંદીની જેમ ગ્રહણ કર્યા. અને કોપના આવેશથી યુક્ત એવા કલિંગ રાજાએ વિવિધ પ્રકારના કુવચનો બોલવા આદિ દ્વારા વિડંબના કરવા પૂર્વક નગરની અંદર લવડાવીને તરત જ કાષ્ઠના પાંજરાની અંદર (=કારાગારમાં) નાખ્યા. રાજા-રાણીએ મનની અંદર ચિંતવ્યું કે, અહાહા ! પૂર્વે ક્યારેય તેવા પ્રકારે નહીં અનુભવાયેલા કોકાશ રથકારનું સઘળાય ખલપુરુષો કરતા પણ અતિશય કેવું આ ખલ આચરણ છે. જો એ પ્રમાણે ન હોય તો છૂપાઇને રહેલા હોવા છતાં પણ આપણા બેની એકાએક આવા પ્રકારની વિડંબના કેમ થાય ? અહાહા ! શું પાણીમાંથી આ અગ્નિ ઉત્પન્ન થયો ? અહાહા ! શું ચંદ્રમંડલમાંથી આ ગરલ ટપક્યું ? અથવા તો અહીં તેનો શું દોષ છે ? પરંતુ આપણા દુષ્કર્મના વિલાસનો જ કંઇક દોષ છે કે જેથી સુજન એવા પણ તેને દુર્જનની જેમ ખરાબ વિચાર આવ્યો. કારણ કે—
अवश्यभव्येष्वनवग्रहग्रहा, यया दिशा धावति वेधसः स्पृहा ।
तृणेन वात्येव तयाऽनुगम्यते, जनस्य चित्तेन भृशावशात्मना ॥ १ ॥
જેવી રીતે તૃણ વડે વાયુ અનુસરાય છે, અર્થાત્ તૃણ વાયુને અનુસરે છે તેવી રીતે અવશ્ય થનારા ભાવી ભાવોમાં બંધનરહિત ગ્રહવાળી બ્રહ્માની સ્પૃહા જે દિશામાં દોડે છે તે સ્પૃહાને અત્યંત પરવશ થયેલું લોકનું મન અનુસરે છે. અર્થાત્ બ્રહ્માની સ્પૃહા જે દિશામાં દોડે છે, લોકનું મન પણ તે દિશામાં જ દોડે છે.
ઇત્યાદિ ચિંતાથી=વિચારણાથી દુ:ખી થયેલા મનવાળા, જન્મથી પણ પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં કરેલા પરાભવ આદિ દુસ્સહ દુઃખોથી આક્રાન્ત થયેલા તે બંને અતિશય