________________
વિશ્વકલ્યાણની તીવ્રતમ ભાવના તીર્થકરત્વની માતા છે. જ્યારે સર્વ જીવોના હિતનો ભાવ તીવ્રતમ બને છે ત્યારે “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના થાય છે અને તીર્થંકર નામકર્મ નિકાચિત બને છે.
આ ભાવના સામાન્ય નથી પણ અસામાન્ય છે, સર્વ શુભભાવનાઓમાં શ્રેષ્ઠ શુભભાવના છે. ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આત્માઓ જ આ ભાવના ભાવી શકે છે. ત્રણ ત્રણ ભવ સુધી શ્રીઅરિહંત પરમાત્માના આત્માઓ આ ભાવનામાં ઓતપ્રોત હોય છે.
સર્વ સાધન સામગ્રીની અનુકૂળતા મળે તો પ્રબળ પુરુષાર્થથી જીવ એક જ ભવમાં મોક્ષ પામી શકે છે, પરંતુ એક જ ભવમાં તીર્થકરત્વ પ્રગટતું નથી.
- આ એક અતિ મહત્ત્વનું સમષ્ટિ સત્ય (Cosmic Truth) છે. આ સત્યની સૂક્ષ્મતામાં પ્રવેશ કરનારને વિશ્વ વ્યવસ્થામાં સર્વ જીવોના કલ્યાણની ભાવનાનું શું મહત્ત્વ છે ? તે સ્પષ્ટ થશે.
શ્રીતીર્થકરોનું તીર્થકરત્વ સર્વ જીવોના હિતની ભાવનામાંથી જન્મે છે.
ચરમ ભવનું તેમનું આખું જીવન સર્વ જીવોને ભવ સંસારના દુઃખમાંથી મુક્ત કરવાની ચિંતા, વિચારણા અને ઉપાયો યોજવામાં જ પસાર થાય છે.
સમવસરણ, પ્રાતિહાર્યો, અતિશયો શ્રી તીર્થંકર પરમાત્માનું શ્રેષ્ઠ ઐશ્વર્ય ત્રીજા ભવે તેમને જે સર્વોત્તમ ભાવના કરી છે, તેનું જ ફળ છે: શ્રીજિનેશ્વરોની માતા
આપણે ક્યારેય ન ભૂલીએ કે આ વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ એટલે શ્રીતીર્થંકરદેવનો દ્રોહ છે.
વિશ્વકલ્યાણની ભાવના એટલે જિનેશ્વરોની માતા ! વિશ્વકલ્યાણની ભાવના પ્રત્યે ઉપેક્ષા એટલે જિનમાતાની ઉપેક્ષા ! જિનમાતાની ઉપેક્ષા એટલે ધર્મમહાસત્તાનો મહાન ગુન્હો !
“જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ” ઇંદ્રની આ ઉક્તિ કોઈ ચોક્કસ દેશકાળને જ અનુસરીને નહોતી, સર્વ દેશકાળને અનુલક્ષીને છે.
સર્વકલ્યાણકર ભાવનાની ઉપેક્ષા કરવી, આ ભાવના પ્રત્યે ખેદ દર્શાવવો, આ ભાવનાનો તિરસ્કાર કરવો, આ ભાવનાનું મૂલ્ય મનથી પણ ઓછું આંકવું એ માત્ર પરહિતના જ નહિ પરંતુ સ્વહિતના માર્ગમાં પણ વિક્ષેપ કરનારું છે.
અસંખ્ય દ્રવ્ય અરિહંતો નિરંતર પ્રાણી માત્રના કલ્યાણની ભાવના કરી રહ્યા છે.
૮૦ ૦ ધર્મ-ચિંતન