________________
જૈન ધર્મ અને ક્ષમાપના
જૈન ધર્મમાં જેને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે કાર્ય “ક્ષમાપનાનું છે.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્' એ વાક્ય તો આપણે ત્યાં સદા વપરાતું આવ્યું છે. પરંતુ રોજબરોજના જીવનમાં એનું ક્ષમાનું–મૂલ્ય આપણે કેટલું આંક્યું છે ?
સામાન્ય વ્યવહારમાં ઘણી વાર માફી માગવાનું અને આપવાનું કામ તો આપણે કરીએ જ છીએ. પરંતુ એ બધી માફીની લેવડદેવડમાં, કેવળ સ્વાર્થપરાયણતા જ મહદંશે. રહેલી હોય છે. ક્ષમાપનાની ભાવના એવી તુચ્છ કે મર્યાદિત નથી.
વ્યવહારિક માફીમાં અને આત્માની ક્ષમાપનામાં ઘણો મોટો ભેદ રહેલો છે. બેન્જામિન ફ્રેન્કલીએ એક સ્થળે લખ્યું છે :
Does any man wound thee ? Not only forgive, but work into thy thought intelligence of the kind of pain that thou mayest never inflict it on another spirit.
આ સુભાષિતનું તાત્પર્ય એ છે કે :
તને કોઈએ કંઈ પીડા પહોંચાડી છે ? એને તો માફી આપ જ, પણ એટલું કરીને અટકીશ નહિ. જે દુ:ખ તને થયું, એવું દુઃખ, તું બીજા કોઈ જીવને કદી પણ નહિ પહોંચાડે, એવી બુદ્ધિપૂર્વકની વિચારણાનો અમલ કરવાનું પણ નક્કી કરી લે.'
આ વાક્યોમાં ઘણો ઊંડો અર્થ સમાયેલો છે. કોઈ આપણને મારફાડ કરી જાય, ગાળો દઈ જાય, મહેણાં સંભળાવી જાય, ત્યારે આપણા અંતરમાં કેવો ફફડાટ જાગે છે ? કેટલું દુઃખ આપણે અનુભવીએ છીએ? આપણી કમનસીબી એ છે, કે બીજાઓને આવું જ દુઃખ પહોંચાડવાના પ્રસંગોમાં, આપણે, આગળના આવા જ પ્રસંગોએ આપણને લાગેલા દુઃખને વિસરી જઈએ છીએ. આપણાં કાર્ય કે વર્તનથી, એવી જ વેદના સામો માણસ ભોગવશે. એનો ખ્યાલ તે વખતે આપણને આવતો નથી.
આ વાતના જ અનુસંધાનમાં બેન્જામિન ફ્રેન્કલીએ અન્ય સ્થળે લખ્યું છે : "Doing an inkury puts you below your enemy, Revenging one makes you but even with him, Forgiving it sets you above him."
આ વાક્યો દ્વારા તેઓ કહે છે : “તમારા શત્રુને ઈજા પહોંચાડો, તો તમે એનાથી ઉતરતી કોટીના બની જાઓ છો, એણે પહોંચાડેલી પીડાના બદલામાં એને સામો ઘા કરો, તો તમે એના જેવી જ કોટીના બની જશો, એને ક્ષમા કરી દેશો તો એના કરતાં ઉચ્ચ કોટીમાં તમે મૂકાશો.'
૨૬૨ • ધર્મ-ચિંતન