________________
સંધાન જીવને પોતાના પરમસ્વરૂપમાં એકાકાર થવા પ્રેરે છે. શિવપદની સાચી લગન શ્રીનવકારની પાકી મૈત્રી પછી પ્રગટે છે.
જેની સાચી મૈત્રી જીવને શિવપદ અપાવે, જન્મ, જરા અને મૃત્યુથી પર બનાવે એવા શ્રીનવકારના અંગભૂત એક અક્ષરનું યથાર્થ મૂલ્ય કોઈ છદ્મસ્થ જીવ ન જ આ શકે.
જેને પૂર્ણત્વનું યથાર્થ મૂલ્ય અંશતઃ પણ સમજાય છે, તેને શ્રીનવકારના પ્રત્યેક અક્ષર પ્રત્યે બાળકને પોતાની જનેતા પ્રત્યે હોય છે તેવો ભાવ રહે છે.
શ્રીનવકારના પ્રત્યેક અક્ષરને દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાતુલ્ય ભાવ આપવાથી ભવનાં બંધનોને ફેડવાનો અપૂર્વ ઉલ્લાસ પરિણામમાં પ્રગટે છે.
જીવના પરમસ્વરૂપનું સર્વશ્રેષ્ઠ કાવ્ય શ્રીનવકારના અંતરાળે વહી રહ્યું છે. જેમના પ્રાણો તેમાં સ્નાન કરે છે તેમની ખુમારી અબજોપતિ કરતાં પણ અધિક બની જાય છે, તેમની નમ્રતા બેનમુન બનતી જાય છે.
મોક્ષસુખનું મૂલ્ય થઈ શકે તો જ શ્રીનવકારનું મૂલ્ય થઈ શકે.
એવા અણમોલ શ્રીનવકારને પામ્યા પછી અપૂર્ણતાને ખોળે આળોટતાં–લોઢાના ધગધગતા તવા ઉપર આળોટવાની સજા ભોગવતા હોઈએ તેવું –દુઃખ ન થાય તો એમ માની શકાય કે હજી આપણે શ્રીનવકારને ઓળખી પણ શક્યા નથી.
જેની સાથે ઓળખાણ ન હોય તેની સાથે મૈત્રી ન બંધાય એતો હકીકત છે. ઓળખાણ માટે મુલાકાત અનિવાર્ય ગણાય. મુલાકાતનો ભાવ તો જ જાગે જો તેમાં લાભનો હેતુ જણાતો હોય.
છ ખંડના અધિપતિની મુલાકાત જે લાભના હેતુભૂત નીવડે તેના કરતાં ક્યાંય ચઢીયાતા દરજ્જાનો લાભ શ્રીનવકારને મળવાના ધન્ય પ્રસંગે જીવને પહોંચતો હોય છે.
એ લાભ એટલે સ્વભાવજાગૃતિ.
સ્વભાવજાગૃતિ એ એક એવો લાભ છે કે જેનો લાભ ત્રણ જગતના જીવોને મળતો હોય છે.
મતલબ કે શ્રીનવકારની મુલાકાત, ઓળખાણ અને પાકી મૈત્રી પછી કોઈ પણ જીવ પ્રત્યેના દ્વેષનો ભાવ સાધકના વિચારપ્રદેશમાં છાવણી નાખી શકતો નથી. તેનાં પરિણામ રાગ-દ્વેષથી પર બનતાં જાય છે.
એવા અણમોલ શ્રીનવકારને સર્વ પ્રકારે ભાવ આપવામાં ભાગ્યશાળી આત્માઓનાં પરિણામ ચઢતાં રહો !
૧૭૦ • ધર્મ-ચિંતન