________________
શ્રીનવકાર અને સામાયિક-૩
(જીવન શિવસ્વરૂપને પ્રગટાવનારી પવિત્ર શક્તિ નમસ્કારભાવમાં છે. એ ભાવવડે ભીંજાયેલાં પરિણામ આત્મસમભાવવડે વાસિત થાય છે. મનનીય અને મૌલિક આ લેખમાં ઉપરના સત્યનું દર્શન થાય છે. સં.)
(૩) નમ્રતા, કૃતજ્ઞતા અને સમર્પણ - પરમાત્મતત્ત્વ સાથે તાદાભ્ય સાધવાનો સર્વથી સરસ માર્ગ નમસ્કારભાવ છે.
નમસ્કારભાવ પરમાત્મતત્ત્વ સાથે આપણા સંબંધને જોડે છે. આપણામાં રહેલા અહંકારભાવને ઓગાળે છે. આપણામાં રહેલા શુદ્ધભાવને જગાડે છે.
નમસ્કારની ક્રિયા ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા છે.
નમસ્કારભાવ પ્રત્યેક માનવીમાં સુષુપ્તપણે રહેલો જ છે. માનવમન પોતાનાથી અધિકનું શરણ ચાહે છે, પોતાનું સર્વસ્વ ક્યાંક સમર્પણ કરવા માટે ઝંખે છે. - જેમનામાં અહંકારભાવ છે, એવા મનુષ્યોના હૃદયમાં પણ નમસ્કારભાવનું બીજ અવશ્ય રહેલું છે. - જ્યારે માનવીને દુઃખ આવે છે, ભય થાય છે, પ્રતિકૂળ વાતાવરણ હોય છે ત્યારે તે પ્રાર્થના કરે છે. પ્રભુનું સ્મરણ કરે છે, પરત્માને પ્રાર્થે છે, ધર્મમહાસત્તાની સહાયને ઇચ્છે છે. નમસ્કારભાવને શરણ આવે છે.
અહીં નમસ્કારભાવ નમ્રતારૂપે છે.
નમસ્કારભાવ પરમ ઉપકારી પુરુષો પ્રત્યે આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. તે વડે છે. આપણા પ્રત્યેની તેમની દયા અને કરુણાનો આપણે સ્વીકાર કરીએ છીએ.
કૃતજ્ઞતાભાવ સર્વ ગુણોનું મૂળ છે. જેમના આપણા ઉપર ઉપકારો છે, તે ઉપકારો જો આપણને ન સ્પર્શે તો સમજવું કે હજી ધાર્મિકતા માટે આપણે અયોગ્ય છીએ.
પોતે પોતાને ધાર્મિક માનવાથી કે માત્ર ધાર્મિકતાની વાતોથી કંઈ નહિ વળે. હૈયામાં ધાર્મિકતા માટેના પ્રાથમિક ગુણો નમ્રતા, વિનય, કૃતજ્ઞતા, અનુકંપા વગેરે સ્પર્શવા જોઈએ.
નમસ્કારભાવ નમ્રતા લાવે છે, કૃતજ્ઞતાભાવ પ્રગટાવે છે અને સમર્પણભાવ સુધી પહોંચાડે છે.
ધર્મ-ચિંતન ૧૨૧