________________
ભાવનો પ્રભાવ
પરમપૂજ્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજયજીમ.સા. (હાલ આચાર્ય)
(નાનકડા પણ છોડમાંથી ક્યારેક અદ્ભુત ઔષધી મળી આવે છે, તેમ નાનકડા આ લેખમાં જીવનને શુભભાવ તરબોળ કરનારું બહુમૂલ્યવાન રસાયણ રહેલું છે. વાચકબંધુને તેનું બહુમાનપૂર્વક સેવન કરવાની ભલામણ છે. સં.)
‘બીજા મારા માટે અશુભ ચિંતવી રહ્યા છે...'
‘મારું કોઈ અશુભ ચિંતવતું નથી...’
મનુષ્ય જ્યારે ભવની ભ્રમણાઓમાં ખૂબ ખૂબ ઘેરાઈ જાય છે...ચારેકોરથી તે પોતાના અશુભના અણસારા થતા જુએ છે, ત્યારે તે આમ વિચારે છે.
પણ આ વિચારના ઉંડાણમાં ડુબકી મારવી પડશે.
બીજા મારા માટે અશુભ ચિંતવી રહ્યા છે' આ વિચારમાં મનુષ્ય શું બીજાનું અશુભ નથી ચિંતવી રહ્યો ? બીજાના માટે દોષની ભૂમિકાએથી વિચારવું તે અશુભ ચિંતન છે અને આ અશુભ ચિંતન કરીને મનુષ્ય શું બીજાને પોતાના અંગે શુભ ચિંતન કરતો કરી શકશે ?
‘મારું કોઈ શુભ ચિંતવતું નથી...' આ વિચાર તો છે જ અજ્ઞાનમૂલક. શું મનુષ્ય વિશ્વના સર્વે જીવોના ભાવને નિહાળી શકે છે ? જો નિહાળી શકતો હોય તો જ આ વિચારને હજુ અવકાશ છે. વળી, એવો કોઈ કાળ નથી હોતો કે જ્યારે જીવાત્માનો કોઈ શુભચિંતક જ ન હોય !
મોટું નુકશાન તો તે થાય છે કે, મારું કોઈ શુભ ચિંતવતું નથી આ વિચાર દ્વારા મનુષ્ય પોતે કોઈનું શુભ ચિંતવી શકતો નથી. અર્થાત્ મનુષ્ય ત્યારે જ સર્વે જીવોનું શુભકલ્યાણ ચિંતવી શકશે કે જ્યારે એ વિચારશે—“સર્વે જીવો મારું શુભ ચિંતવી રહ્યા છે.’’
અરે, એટલી વિચારવિદ્યુત આત્મઘરમાં વહેતી કરી ઘો કે—“અનંત અનંત તીર્થંકરોએ મારું શુભ ચિંતવ્યું છે...મને પરમ સુખી બનાવવાનો સર્વોત્કૃષ્ટ ભાવ વહેતો મૂક્યો છે...” બસ, આ વિદ્યુત તમારા આત્મઘરને ઉજ્જવલ પ્રકાશથી ભરી દેશે. એ પ્રકાશમાં તમારી સર્વ મુંઝવણોનો અંત આવી જશે. તમારી સમક્ષ વિકાસના માર્ગો સ્પષ્ટ દેખાતા થઈ જશે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫૫