SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા માટે પાણી ઉકળવાનો સમય જાણવો અત્યંત આવશ્યક છે. કેટલા વાગે પાણી ઉકાળનારે ગ્યાસ બંધ કર્યો” એ પાકા પાયે જાણી લેવું. અધ્ધરતાલ, ઉડાઉ જવાબો ઉપર વિશ્વાસ ન ક૨વો. બરાબર ચકાસણી કરીને પાકો સમય જાણી લેવો અને એ મુજબ ‘એ પાણીનો કાળ સાંજે કેટલા વાગે થાય છે’ એ બરાબર નક્કી કરીને બધા સંયમીઓને જણાવી દેવું. આજે ઘણા ગ્રુપોમાં ખૂબ જ ચોક્સાઈ પૂર્વક આ બધી જ કાળજી કરાય છે. એ અત્યંત અનુમોદનીય છે. પણ કેટલાંક ગ્રુપોમાં અજ્ઞાનતા કે પ્રમાદ, ઉપેક્ષાને લીધે આ બધી કાળજી કરાતી નથી. તો તેઓ પણ આ બધા મોટા દોષો જાણીને ઝીણી-ઝીણી કાળજી કરવા માટે અત્યંત કટિબદ્ધ બને. તમામ સંયમીઓએ કોઈપણ કાળમાં આ ટેવ પાડી જ દેવી જોઈએ કે,‘પાણી વહોરતી વખતે પાણીનો ગ્યાસ બંધ કરવાના કાળની બરાબર પૃચ્છા કરવી જ.' અપ્લાયમાં રહેલા અસંખ્ય જીવો પ્રત્યે જેમને ખરેખર કરૂણા હશે, ભગવાનની આજ્ઞાઓ પ્રત્યે જેમને ખરેખર અપાર બહુમાનભાવ હશે, આત્મોદ્વારની જેમને સાચી તલપ હશે તેઓ તો હોંશે હોંશે આ બધી જ કાળજીઓ કર્યા વિના નહિ જ રહે. આ બાબતમાં ઘણી કહેવાયોગ્ય બાબતો છે, પણ અત્યારે વધુ જણાવતો નથી. ૧૩૧. હું વિહારમાં ચૂનો, સાબુ-સર્ફ, કપડા સુકવવાની દોરી, લૂંછણિયું, પ્યાલો અવશ્ય સાથે રાખીશ ઃ સાંજના વિહાર વગેરેમાં પાણીનો કાળ થઈ જાય એ પૂર્વે ચૂનો નાંખવા માટે ચૂનો તો સાથે રાખવો જ પડે. “બીજા સંયમીઓ રાખે છે, એ લઈ લઈશ.” એમ બીજાના ભરોસે ન રહેવાય. જો સાંજના વિહારમાં સ્થંડિલ જવા માટે કે ઝડપ ઓછી-વત્તી હોવાના કારણે એકલા પડી જઈએ તો પછી કોની પાસે ચૂનો મળે ? એ વખતે બધું પાણી પરઠવી દેવાનો વખત આવે. એને બદલે જો ચૂનો પાસે જ હોય તો તરત એના દ્વારા પાણી ચૂનાનું કરી શકાય. એમ વિહારમાં લુણા વગેરે કાઢવા માટે સાબુ-સર્ફ જે ગ્રુપોમાં વપરાતા હોય, તે ગ્રુપોના સંયમીઓએ સાબુ-સર્ફ પાસે રાખવા પડે. બીજા સંયમીઓએ પાસે રાખેલા સાબુ-સર્પની આશાથી જો અમુક સંયમીઓ સાબુ વગેરે ન રાખે તો ક્યારેક સુભૂમની પાલખી જેવું થાય. બધા જ આ રીતે એક બીજાની આશાથી સાબુ-સર્ફ ન રાખે અને છેવટે બધાએ પરેશાન થવાનો વખત આવે. (હા ! જેઓ સાબુ-સર્ફ વાપરતા જ ન હોય અથવા રોજેરોજ ગૃહસ્થો પાસેથી વહોરીને લાવતા હોય એમની વાત જુદી છે.) વિહારમાં દોરી તો રાખવી જ પડે. શિયાળામાં સાંજના વિહારમાં અને ઉનાળામાં તો સવા૨સાંજ બે ય વિહારમાં પુષ્કળ પરસેવો થાય. એવા ચીકણા પરસેવાવાળા વસ્ત્રો ગમે ત્યાં સુકવીએ તો એને ધુળ-મેલ ચોંટે. કપડા ઘણા વધારે મેલા થાય અને આવા પરસેવા સાથે મિશ્ર થયેલો મેલ શરીરને નુકસાન કરે. વળી ગમે ત્યાં કપડા નાંખીએ તો એ જલ્દી સુકાય પણ નહિ. એટલે તમામ સંયમીઓએ પોતાની પાસે ઓછામાં ઓછી ‘પોતાના વસ્ત્રો સુકવી શકાય' એટલી લાંબી દોરી તો રાખવી જ જોઈએ. એનાથી નાની દોરી ન ચાલે. શક્ય હોય તો ગચ્છની ભક્તિ માટે મોટી દોરી પણ રાખી શકાય. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૪૪)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy