________________
(આવશ્યક - આત્મશુદ્ધિનો આધાર)
લેખક :-આચાર્ય શ્રી અજિતશેખરસૂરિ મહારાજ.. શિક્ષકે ચીંટુને કહ્યું – અલ્યા! તું મોં ધોયા વગર સ્કુલે આવ્યો? કેટલો ગંદો-ગોબર લાગે છે ? તારા મોં પર જોઈને હું કહી આપું કે તું આજે દહીંવડા ખાઈને આવ્યો છે.
તરત ચીંટુએ કહ્યું – ના ! દહીવડા તો મેં પરમ દિવસે ખાધેલા! એટલે કે મેં પરમ દિવસથી મોં ધોયું નથી !
વાત આ છે કે બાહ્ય જગતમાં શરીરને સ્વચ્છ, સુંદર, સુગંધિત રાખવું જરૂરી મનાયું છે. એ રોજ માટે આવશ્યક છે. જો કે નિક્ષેપાની ભાષામાં વાત કરીએ, તો શરીર માટે આવશ્યક ગણાતા સ્નાનાદિ કાર્યો નોઆગમ તધ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક છે. અને એ આત્મશુદ્ધિ રૂપ ભાવઆવશ્યકનું કારણ પણ નહીં હોવાથી અપ્રધાન દ્રવ્ય આવશ્યક છે.
માનવભવ, આર્યક્ષેત્ર, જૈનકુળ, દીર્ધાયુષ્ય, નિરોગીકાયા, પાંચ ઇંદ્રિયોની પરિપૂર્ણતા વગેરે રૂપ સામગ્રી પામ્યા પછી આત્મશુદ્ધિ, પાપમુક્તિ, દોષત્યાગ અતિ આવશ્યક છે. પ્રસાદ ચેમ્બર્સ (ઓપેરાહાઉસમુંબઈ ) કે જ્યાં હીરાના વેપાર માટેની જ ઓફિસો છે; ત્યાં મોટી કિંમત ચૂકવી ઓફિસ મેળવ્યા બાદ હીરાનો જ વેપાર કરાય. ત્યાં સોનાનો કે ચાંદીનો વેપાર પણ યોગ્ય ગણાય નહીં, તો બીજા કપડાના વેપાર આદિની તો વાત જ ક્યાં?
એમ વિશિષ્ટ પુણ્ય ચૂકવ્યા પછી ઉપરોક્ત સામગ્રી યુક્ત માનવભવ મળ્યા બાદ આત્મશુદ્ધિ વગેરે કાર્ય જ થવા જોઇએ. એ નહીં થાય, તો બાકીના ધર્મો પણ મૂલ્યવાન થાય નહીં.
ને આત્મશુદ્ધિ માટે પ્રતિદિન નહીં, પ્રતિક્ષણ આત્માને સ્વચ્છ, સ્વસ્થ, સશક્ત, સુંદર, સુવાસિત અને સુશોભિત રાખવા જ આવશ્યક આરાધવા અતિ આવશ્યક મનાયા છે. સાધુ અને શ્રાવકોએ અહોરાત્રમાં ઉભયટંક અવશ્ય કર્તવ્યરૂપ હોવાથી જ એ આવશ્યક કહેવાય છે.
જેમ તેલમાલીશ કરેલો માણસ ખુલ્લામાં માત્ર ઊભો પણ રહે,તો ઘણી ધૂળ ચોંટી જવાથી એ ગંદો થઇ જાય છે, એમ રાગ-દ્વેષથી યુક્ત આત્મા બીજી કોઈ પ્રવૃત્તિ કરે નહીં, તો પણ કર્મમળથી મલિન થઇ જાય છે, એમાં પણ સંસારની વિવિધ પાપપ્રવૃત્તિઓ કરતો રહે પછી તો પૂછવું જ શું? તેથી જ પ્રભુએ સતત આત્મશુદ્ધિ-સ્વચ્છતા માટે છ આવશ્યક બતાવ્યા છે. આ નિત્ય કર્તવ્યરૂપ આરાધના છે. આ આત્માને માંજે છે, અજવાળે છે, સ્વચ્છ કરે છે. આ જ મેક-અપરૂપ બની સુંદર, સુવાસિત પણ કરે છે ને આભૂષણરૂપ બની શણગારે પણ છે.
આવશ્યકો નિત્ય કર્તવ્ય છે. પર્વતિથિના ઉપવાસાદિ નૈમિત્તિક કર્તવ્યો છે તે-તે પર્વઆદિ નિમિત્તે આરાધ્ય છે. એ સિવાયના સ્વૈચ્છિક છે. નૈમિત્તિક અને સ્વૈચ્છિક આરાધનાઓ પણ નિત્ય કર્તવ્ય વિના શોભતી નથી. કપડા પહેર્યા વિના-નગ્ન અવસ્થામાં કેટલા દાગીના શોભે?