________________
ભૂમિકા
૧. તત્ત્વાર્થાધિગમ સૂત્રનું મહત્ત્વ
વિશ્વકલ્યાણકર તીર્થંકર ભગવંતો વડે જે સ્થાપન કરાયું છે. તેમજ ગણધર, પૂર્વધર, શ્રુતધર, આચાર્યો વડે જે વહન કરાયું છે તેવું આ જિનશાસન અનંત અને અક્ષય શ્રુતનો સમુદ્ર છે. આ શ્રુત સમુદ્રનો તાગ પામવો તે છદ્મસ્થ વ્યક્તિ માટે ખૂબ જ દુષ્કર કાર્ય છે, તેવું જાણી, વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ જિનપ્રવચનના મૌલિક બહુવિધ સિદ્ધાંતરત્નોને આ તત્ત્વાર્થસૂત્રરૂપી મંજૂષામાં ભરી દીધા છે.
અલ્પાક્ષરી, અસંદિગ્ધ, અર્થગાંભીર્ય, વિશાળ, અસ્તોભ (વારંવાર ચ, હિ, વૈ ઈત્યાદિ પ્રયોગથી રહિત) અને નિર્દોષ- આ ૬ લક્ષણો સૂત્રના છે, તેમાંથી એક પણ લક્ષણની ન્યૂનતા તત્ત્વાર્થસૂત્રમાં દેખાતી નથી. સર્વ લક્ષણયુક્ત આ સૂત્ર સર્વાંગસુંદર છે અને સર્વગ્રાહ્ય છે. આ સૂત્રના ગુજરાતીહિન્દી-જાપાની-અંગ્રેજી-જર્મની-કર્ણાટકી(કન્નડ)-પ્રાકૃત આદિ ભાષાઓમાં થએલા અનુવાદો જ આની સર્વગ્રાહ્યતાને સિદ્ધ કરી આપે છે.
શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી- આ ચારેય જૈન ફિરકાઓમાં અતિ આદરપૂર્વક અધ્યયન કરાતું આ સૂત્ર છે. દિગંબરો તો આને સર્વોપરિ મુખ્ય આગમ મોક્ષશાસ્ત્ર તરીકે માને છે અને એથી શ્વેતાંબરાચાર્યોની જેમ દિગંબરાચાર્યોએ પણ આ સૂત્ર ઉપર હજારો શ્લોક પ્રમાણ ટીકાઓની રચના કરી છે.
અર્થસહિત આ સૂત્રનો પાઠ કરવામાં આવે તો એક ઉપવાસનો લાભ મળે છે અર્થાત્ ભલે આ સૂત્ર ૨૦૦ ગાથા પ્રમાણ છે, છતાં પણ જો ઈરિયાવાહી કરી, પલાઠી વાળી, એકાગ્રમને, અર્થસહિત આ સૂત્રનો સ્વાધ્યાય કરવામાં આવે તો ૨૦૦૦ ગાથાના સ્વાધ્યાયનો લાભ મળે છે. ખુદ વાચકશ્રી પણ પ્રશસ્તિના અંતિમ શ્લોકમાં આ સૂત્રની મહિમા વર્ણવતા ક્યે છે કે, ૪જે તત્ત્વાર્થાધિગમ નામના આ શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થ (મોક્ષ)ને અલ્પકાળમાં પામશે.
વેદાંતદર્શનમાં જે સ્થાન-માન બાદરાયણના બ્રહ્મસૂત્રનું છે, યોગદર્શનમાં જે ગરિમા પતંજલીના યોગસૂત્રની છે, વૈશેષિકદર્શનમાં જે મહત્ત્વ કણાદના વૈશેષિકસૂત્રનું છે, નૈયાયિકદર્શનમાં જે મહિમા અક્ષપાદ ગૌતમના ન્યાયસૂત્રનો છે અને વ્યાકરણોમાં જે મૂલ્યાંકન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત સિદ્ધહેમ વ્યાકરણના સૂત્રોનું છે, તેવી જ ગરિમા જૈન દર્શનમાં વાચક શ્રી ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થાધિગમસૂત્રની છે.
આ સૂત્રની પ્રમાણિકતા એટલી બધી છે કે ચાન્દ્રકુલના નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ, નિવૃત્તિકુલના સમ્મતિના ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ, સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિજી મહારાજે આગમની ટીકાઓમાં ઠેક ઠેકાણે ‘ઉત્ત્ત વાવમુલ્યે:, વાવ, વાવ પ્રવરેઃ' કહીને આ સૂત્રના સાક્ષીપાઠો પુરાવા માટે આપ્યા છે.
१. स्वल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ।। २. भगवद्भिरुमास्वातिपादैराचार्यवर्यैसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य .... । (अष्टसहस्रौ लघुसामन्तभद्रवचनम् ) ३. दशाध्याये परिच्छिन्ने तत्त्वार्थे पठिते सति । फलं स्यादुपवासस्य भाषितं मुनिपुङ्गवैः ।। ४. यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबाधं सौख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ।।६।।