________________
સ. માટે જ દીક્ષા દોહિલી કહી છે ને?
દીક્ષા દોહિલી છે માટે તમે દીક્ષાથી આઘા રહ્યા છો કે સંસારમાં રહીને ઘી દૂધ દોહવાનું મન આકંઠ છે માટે ઘરમાં રહ્યા છો ? દીક્ષા દુષ્કર ભલે હોય પણ સંસારમાં સુખ મળે એ તો અશક્ય છે. જે દુષ્કર છે તેને સુકર બનાવી શકાય પણ અશક્ય વસ્તુમાં હાથ ઘાલવો એ તો મૂર્ખાઇભર્યો ધંધો છે. દીક્ષા દોહિલી છે તે રાગાધીનો માટે. વૈરાગ્યથી વાસિત બનેલાને તો દીક્ષા અત્યન્ત સુકર છે. દીક્ષા દોહિલી કહી છે એ યાદ રાખ્યું પણ રાગને સર્પજેવો કહ્યો છે – એ યાદ નથી ને ? રાગ ઝેરજેવો લાગે છે કે મીઠો લાગે છે? પોતે રાગ કરે તો ખરાબ ન લાગે અને કદાચ પોતાને રાગ ન હોય પણ બીજા જે પોતાની ઉપર રાગ કરે તો એ ય ગમી જાય ને ? આપણી પાસે ભમરાની જેમ માણસો ફરતા હોય તો પુણ્યોદય લાગે ને ? એ ભમરા લોહી ચૂસે તો ય શેર લોહી વધે ને ? ક્રોધને અગ્નિ જેવો માન્યા પછી પણ રાગ સર્પ જેવો નથી લાગતો ને ? આથી જ કહ્યું છે કે વિષયના ત્યાગી એ ત્યાગી નથી વિષયના રાગના ત્યાગી એ જ ત્યાગી છે. અલ્સરનો રોગી કાંઈ ખાય નહિ છતાં તે
ત્યાગી નથી કહેવાતો. કારણ કે તેને રાગ-ઇચ્છા પડી છે. સાધુભગવન્તો કારણે વિગઈ વાપરે છતાં તેઓ ત્યાગી છે. કારણ કે તેમને ઈચ્છા નથી હોતી. ‘ઇચ્છા નથી તો વાપરે છે શા માટે ? આવી શંકા પડે તો સુષમાનું દૃષ્ટાન્ત યાદ રાખવું. અરણ્યમાંથી ઘરે પહોંચવા માટે ના છૂટકે જેમ ત્યાં અનિચ્છનીય પ્રવૃત્તિ કરી હતી તેમ સાધુભગવન્તો પણ સંસારમાંથી મોક્ષે પહોંચવા સંયમદેહના નિર્વાહ માટે આહારાદિની પ્રવૃત્તિ કરે. સાધુભગવત વાપરે તો મજા છે, જલસા છે એવું ન બોલવું. સુષમાનું દષ્ટાંત યાદ હોય તે કોઈ દિવસ એવું પૂછે નહિ કે - ઈચ્છા નથી તો સવારના પહોરમાં પાત્રો લઈને શા માટે નીકળી પડે છે? - જેઓ એવું બોલે છે તેઓ ભયંકર અજ્ઞાનના કારણે ભયંકર પાપ બાંધે છે. સાધુભગવન્તો વૈરાગ્યવાસિત હોવાથી ઈચ્છા વગર પ્રવૃત્તિ કરી શકે છે. સાધુપણામાં જે મજા છે તે વૈરાગ્યની મજા છે, રાગની નહિ. સાધુપણામાં આવીને રાગની મજા માણવા માટે મહેનત કરે તેની વાત જુદી છે, તેવાઓની તો કફોડી હાલત થાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે બધા સાધુઓ એવા જ હોય છે. અપવાદભૂત સાધુઓને લઈને સાધુપણાની નિંદા કરનારા મહાપાપના ભાગીદાર બને છે. આ પાપમાંથી બચવું હોય તો આ બધું સમજીને શાંતિથી વિચાર્યા વગર નહિ ચાલે.
(૯૩)