________________
એકલું મસ્તક હાથમાં લઇને દોડવા લાગ્યા. સુષમાના પરિવારજનોએ સુષમાનું ધડ જોઇને આગળ જવાનું માંડી વાળ્યું. ચિલાતીપુત્રની પાછળ દોડતાં દોડતાં તેઓ ખૂબ થાકી ગયા હતા અને જંગલમાં એવા સ્થાને આવીને ઊભા હતા કે જ્યાં કોઇ ફળનું વૃક્ષ કે પાણીનું સરોવર જોવા ન મળે. ભૂખ અને તરસના કારણે તેમના પ્રાણ કંઠે આવી ગયા હતા. છેવટે ગત્યન્તરાભાવે સુષમાના માતાપિતા, ભાઇ વગેરેએ સુષમાના ધડમાંથી જ તેનાં માંસ અને રક્તનો ઉપભોગ કર્યો. એ ઉપભોગ કેટલો અને કેવી રીતે કર્યો હશે ? પોતાની બહેન કે દીકરીના માંસના ઉપભોગના પરિણામ કોઇને ન હોય ને? તેમ સાધુભગવન્તોને વિષયના ભોગનો પરિણામ ન હોય. સાધુને વિષયનો પરિભોગ કેવા સંયોગોમાં અને કેટલા પ્રમાણમાં હોય તે જણાવવા પૂરતું જ આ દૃષ્ટાન્ત છે. વિષયનો પરિભોગ હોવાથી પ્રવૃત્તિ હોવા છતાં લેપાતા ન હોવાથી પરિણતિ નથી. પરિણતિ એ મનનો વિષય છે. અને મન હોય ત્યાં રાગ ભળેલો જ હોય. રાગ હોય ત્યાં મન ભળેલું હોય. મનથી જે પાપ બંધાય છે તે રાગથી જ બંધાય છે. મનવચનકાયાની પ્રવૃત્તિને રાગદ્વેષનું પરિબળ મળે તો જ કર્મબંધ થાય. તેથી મનથી જે કર્મબંધ થાય તે રાગદ્વેષપ્રત્યયિક જ હોય છે. સાધન મન બને છે એ વાત સાચી પણ રાગ હોય તો જ મન સાધન બને. જ્યારે રાગ ન હોય ત્યારે મનવચનકાયા કોઇ કર્મબંધનું કારણ બનતા નથી. કષાયપ્રત્યયિક બંધ જ બંધમાં ગણાય છે. યોગપ્રત્યયિક બંધને બંધ તરીકે ગણતા નથી. કારણ કે રાગ ગયા પછી જે યોગપ્રત્યયિક બંધ થાય છે તે માત્ર શાતાવેદનીયનો અને તે પણ બે સમયની સ્થિતિવાળો હોય છે. તેથી જે કાંઇ ચિંતા કરવાની છે તે કષાયપ્રત્યયિક બંધની કરવાની છે. કષાયપ્રત્યયિક બંધ શુભ પ્રકૃતિનો હોય તોપણ તે સંસારમાં રાખનારો હોવાથી નથી જોઇતો. પુણ્યપ્રકૃતિ બંધાઇ જાય અને તેથી સંસારમાં રખડવું ન પડે તે માટે કષાયપ્રત્યયિક બંધ ટાળવા માટે પ્રયત્ન કરવો છે. મનના પાપ ટાળવા માટે સૌથી પહેલાં રાગ કાઢવો પડશે.
સ. વધુ ખરાબ શું ?
જે નડે તે. કોઇને રાગ વધારે નડે, કોઇને દ્વેષ વધારે નડે, કોઇને મોહ વધારે નડે અને કોઇને ત્રણે ત્રણ નડે. આપણને બધું જ નડે છે – એમ સમજી કામે લાગવું છે. કોને શું નડે છે – એ વિચારવા નથી બેસવું. આપણે આપણા રાગાદિ દોષને જ પ્રાધાન્ય આપવું છે.
(૯૧)