________________
સ. અનુકૂળતા એ પાપનું મૂળ છે.
સાચું કહો છો ? હૈયાથી બોલો છો ? આટલું જો સમજાયું હશે તો અઠ્ઠાઈ મહોત્સવ કરવો પડશે. અનુકૂળતા જો પાપનું મૂળ છે એવું લાગતું હોય તો તેનું સિંચન નથી કરવું – આટલું નક્કી કરવું છે? શાસ્ત્રમાં કહયું છે કે સ્નેહના સિંચનથી. રાગ વધે છે. તેના કારણે કર્મબંધ થાય છે અને કર્મના યોગે સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. ક્યારે પણ કોઈ અનુકૂળતા આપવાની વાત કરે તો તેને કહેવું. શરીરની ચિંતા છોડ, આત્માની ચિંતા કરવી હોય તો કર. સાધુસાધ્વી તો શરીરની ચિંતા છોડીને આત્માની ચિંતા કરવા માટે જ અહીં આવ્યા છે ને ? તો તેઓ ગુરુ કે સહવર્તી પાસે શરીરની અનુકૂળતા સચવાય એવી અપેક્ષા ન જ રાખે ને ? ઊલટું શરીરની ચિંતા કરે ત્યારે હાથ જોડીને, પગમાં પડીને વિનંતિ કરવી કે – શરીરની ચિંતા તો સગાસંબંધી ઘણી કરતા હતા એ ચિંતા કરવી નથી માટે સગાને છોડીને અહીં આવ્યો છું. આપ મારા શરીરની ચિંતા ના કરશો. પાપ મજેથી તો શું, પણ અજાણતાં પણ ન જું - એને ચોવીસે કલાક ધ્યાન રાખજો. મારાં પાપોને આપ જ્ઞાની જાણો છો. તેનાથી મને બચાવો. ક્યાંક પણ પાપ કરતો દેખાઉં, સુખ ભોગવતો દેખાઉં તો મને કડકાઈ કરીને પણ તેનાથી દૂર રાખજો. મને માઠું લાગે તો ભલે, પણ મારી-મારા હિતની ઉપેક્ષા ન કરશો.
સ. પાપ પાપ લાગવું જોઈએ ને?
તો પછી અનુકૂળતા પાપનું મૂળ છે – એ વચન બોલવા ખાતર જ બોલ્યા હતા, તે નક્કી ને ? જેઓ પોતાની જાતને છેતરીને લોકોને સારું લગાડવા માટે બોલે એવાઓનાં વચનની કોઈ કિંમત નથી. જે અસમાધિનાં નિમિત્તોથી દૂર રહેવા રાજી ન હોય અને અસમાધિની ફરિયાદ કરે તેને સમાધિ કઈ રીતે અપાય ?
અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે સુખ મેળવવાનો અને દુઃખ ટાળવાનો પરિણામ તેનું નામ સંકલ્પ. આ સંકલ્પને આધીન બની જેઓ પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઈચ્છાનું નિવારણ ન કરે તેઓ માટે સંયમ દુરારાધ્ય છે. આ રીતે કામભોગોનું નિવારણ ન કરનારા જેમ સાધુ નથી, તે જ રીતે આજીવિકાદિના ભયના કારણે જેઓએ દીક્ષા લીધી છે તેઓ દ્રવ્યથી સાધુક્રિયાને કરતા હોવા છતાં સંક્લિષ્ટ ચિત્તવાળા હોવાથી ત્યાગી નથી- તે જણાવે છે. અર્થાત્ પૂર્વે કામનો ત્યાગ ન કરવાના કારણે શ્રમણ્ય-સાધુપણું નથી હોતું, તે જણાવ્યું. હવે કામોનો ત્યાગ હોવા છતાં પણ સાધુપણું કઈ રીતે નથી હોતું તે બીજી ગાથાથી જણાર્થે છે :
(૮૬)