________________
वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य ।
अच्छंद्रा जे न भुंजंति, न से चाइत्ति वुच्चइ ॥२-२॥
સ્વાધીને નહિ એવાં વસ્ત્ર, સુગંધી દ્રવ્યો, અલંકાર, સ્ત્રીઓ અને પલંગ વગેરેને જેઓ ભોગવતા નથી, તેઓ ત્યાગી કહેવાતા નથી : આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે વિષયનો ભોગવટો ન કરે છતાં પણ ભોગવટાનો પરિણામ પડ્યો હોય તો તે ત્યાગી એટલે કે સાધુ નથી કહેવાતા. વિષયથી દૂર રહેવા માત્રથી વિસ્તાર નથી થતો, વિષયના ભોગવટાના પરિણામથી દૂર રહેવું છે. વિષયો ખરાબ નથી, વિષયને ભોગવવાનો પરિણામ ખરાબ છે. વિષયથી દૂર રહેવા માત્રથી મોક્ષ મળતો હોય તો ભિખારી, તિર્યંચ વગેરેને સૌથી પહેલાં મોક્ષ મળે. વિષયના ભોગવટાનો પરિણામ માત્ર વિષયની યાચનામાં નથી, વિષયો મને મળે તો સારું આવી જે મનથી પ્રાર્થના છે તેનું જ નામ વિષયનો પરિણામ. સંયોગો ન હોય માટે પાપ ન કરે તેને ધર્મી ન કહેવાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પાપના પરિણામ જાગ્યા પછી પણ ભાન આવી ગયું તો સંયોગો હોવા છતાં પરિણામનો અમલ ન કર્યો. આથી બચી ગયા. જ્યારે તંદુલિયો મત્સ્ય સંયોગો ન હોવાથી પાપની પ્રવૃત્તિ કરી શકતો નથી પણ પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં પાપના પરિણામ હોવાથી તેને નરકે જવું પડે છે. માટે નક્કી છે કે વિષયથી દૂર રહે તે ત્યાગી નહિ, વિષયના ભોગવટાથી દૂર રહે તે પણ ત્યાગી નહિ, વિષયભોગના પરિણામથી દૂર રહે તે જ ત્યાગી કહેવાય છે. જેને (ભોગવવાનો) પરિણામ જ ન હોય તે વિષયનો ભોગવટો કરે શા માટે ? અને જેને વિષયો ભોગવવા જ નથી તે વિષયોને રાખે શા માટે? આથી શરૂઆત કરવી હોય તો વિષયોને દૂર કરવાથી જ કરવી પડશે. વિષયોની ઈચ્છા નથી માટે વિષયોથી દૂર જ રહેવું છે. કદાચ વિષયો પાસે હોય તોપણ ભોગવવા નથી. જેમ રોગાદિના કારણે, વિષયો મળવા છતાં પણ ભોગવતા નથી તેમ રાગાદિનું કારણ હોવાથી મળેલા પણ વિષયોને જે ભોગવતા નથી તે ત્યાગી છે. કોઈવાર વિષયનો ભોગવટો કર્યા વગર ચાલે એવું ન હોય તો પણ ભોગના પરિણામથી દૂર જ રહેવું. આથી નક્કી છે કે માત્ર વિષયથી દૂર રહેવામાં કે તેના ભોગવટાથી દૂર રહેવામાં ત્યાગ નથી, વિષયના પરિણામથી દૂર રહેવામાં ત્યાગ સમાયેલો છે. વિષય કે ભોગવટાથી દૂર રહેવામાં ત્યાગ ત્યારે મનાય કે જ્યારે પરિણામથી દૂર રહેવાનું મન તેમાં પડેલું હોય. પહેલાં વિષયો ટાળવા, વિષયો આવે તો ભોગ ટાળવો, અને ભોગવટો કરવો જ પડે તો પરિણામ ટાળવા. જેમ રસ્તામાં ચાલતી વખતે સામેથી કોઈ ભટકાય નહિ તેની
(૮૭)