________________
અસહિષ્ણુતાની ફરિયાદ કરનારને સહિષ્ણુતા કેળવવાના ઉપાય બતાવવાના રહે. દુ:ખ ટાળવું એ આપણા હાથની વાત છે કે સહનશીલતા કેળવવી એ આપણા હાથની વાત છે ? અસહિષ્ણુતાની ફરિયાદનો નિકાલ થઈ શકે છે. કારણ કે એમાં આપણી જાતને સુધારવાની વાત આવે. જ્યારે દુઃખની ફરિયાદનો નિકાલ થઇ શકે એમ નથી. કારણ કે એમાં બીજાને સુધારવાની વાત આવે, જે શક્ય નથી અને એ આપણો અધિકાર પણ નથી. આપણે તો એ કહેવું છે કે આ દુ:ખની અસહિષ્ણુતાના મૂળમાં પણ સુખની અપેક્ષા પડેલી છે – એ જ સંયમમાં થનારી અસ્કૃતિનું બીજ છે. આજે તમે દીક્ષા લઇ ન શકતા હો કે અમે દીક્ષા પાળી ન શકતા હોઇએ તો તેનું કારણ એક જ છે કે સુખની લાલચ મરતી નથી. આ નિદાન શ્રી શય્યભવસ્વામી મહારાજે કર્યું છે, અનન્તજ્ઞાની ભગવન્તોએ કરેલું આ નિદાન છે. એની સામે વિકલ્પો ઊભા કર્યા વિના તેને હૈયાથી સ્વીકારવા જેટલી સરળતા કેળવી લઇએ તો કાંઇક રસ્તો નીકળે એમ છે. આજે અમારા મુમુક્ષુઓ પણ અમને પૂછવા આવે કે ઓછામાં ઓછું કેટલું વેઠવું પડે ? અમારે કહેવું પડે કે ભાઇ ! સહન ઓછું થશે તો વાંધો નહિ પણ રાગ સંપૂર્ણ છોડીને આવજે. સુખશીલતા અસહનશીલતાને જન્મ આપે છે. સાધુપણું લેવા ન દે કે પાળવા ન દે એવી આ સુખની લાલચ છે. સંસારનું સુખ ગમે છે માટે દીક્ષા લેવાતી નથી અને સંસારનું સુખ ગમવા માંડે તેથી દીક્ષા પળાતી નથી. સાધુપણું જો પાળવું હશે તો સુખનો રાગ માર્યા વગર અને દુઃખ ઉપર પ્રેમ કેળવ્યા વગર નહિ ચાલે. સંસારના સુખ ઉપરનો રાગ માર્યા વગર અને દુઃખ ઉપર પ્રેમ કેળવ્યા વગર સમ્યક્ત્વ પણ ન મળે તો ચારિત્ર કેવી રીતે પળાય ? દુઃખ વેઠવાની સ્થિરતા અને સુખ છોડવાની સ્થિરતા એનું જ નામ ધૃતિ છે. દુઃખ તો આના કરતાં ય નરકાદિ ગતિમાં ઘણું વેઠ્યું છે. જે બાકી છે તે સુખ છોડવાનું બાકી છે. જે ગતિમાં જેટલું પણ સુખ મળ્યું એમાં ચોંટી પડવાના સંસ્કાર એવા ગાઢ છે કે એ જલદી ભૂંસાય એવા નથી. આથી જ એક વાર સુખ છોડયા પછી પાછું એ વળગે નહિ – એ માટેની ધૃતિ કેળવવી – એ સાધુપણાના પાલન માટે જરૂરી છે. તમારી આગળ આ બધું વર્ણન કરવાનું કારણ એ છે કે તમને સાધુપણું ઉદ્દયમાં કેમ આવતું નથી તેનું વાસ્તવિક કારણ સમજાય, સાધુપણામાં આવેલાને પણ પતનને અભિમુખ બનાવનાર સુખની લાલચની ભયંકરતા તમારી નજર સામે આવે અને સાથે કોઇપણ સાધુસાધ્વી તમારી આગળ ખોટી ફરિયાદ કરે તો તેનો યોગ્ય ઉકેલ તમે કાઢી શકો. સાધુસાધ્વીને ગુરુની ફરિયાદ કરવાનો અધિકાર નથી તેમ તમને પણ ફરિયાદ સાંભળવાનો અધિકાર નથી.
જ
(૮૨)