________________
આવે તે સુસાધુ નહિ. વર્તમાનના સાધુસાધ્વીની ટીકાટિપ્પણ માટે આ બધું નથી કહેવાતું. આપણી જાતને સુધારવા અને બચાવવા માટે જ આ આચાર સાંભળવાનો છે. ભમરાજેવું જીવન જીવવા માટે અપ્રમત્ત બનવું પડશે. સાધુસાધ્વીઓએ તો ખાસ ધ્યાન રાખવું. ગમે તેટલા પર્યાયવૃદ્ધ હોય કે પ્રભાવક હોય : આજ્ઞા ન રહી જાય તે માટે પુરુષાર્થ કર્યા વિના નહિ ચાલે. સંઘસ્થવિર કે સંઘાચાર્ય પદે બિરાજમાનને પણ આજ્ઞાપાલનમાંથી બાદબાકી ન મળે : એ યાદ રાખવું. સાધુભગવન્ત આહાર, વિહાર કે નીહાર આજ્ઞા મુજબ જ કરે.
સ. સાધુભગવન્ત ઉગ્રવિહાર કરે ને?
આજ્ઞા મુજબ બે માઈલનો વિહાર કરવો તે ઉગ્ર વિહાર. તમે ઉગ્ર ધંધો કોને કહો? થોડા સમયમાં ને થોડી મહેનતમાં વધુ કમાણી થાય છે કે પરસેવો પાડવો પડે તે? કલાકમાં લાખો કમાય તે ઉગ્રધંધો કહેવાય તેમ આજ્ઞા મુજબ વિચરવાથી ઘણી નિર્જરા સાથે તે ઉગ્રવિહાર. બાકી તો તમે જેમ મજૂરી કહો તેમ અમારે ત્યાં પણ આજ્ઞાની ઉપરવટ થઈ માઈલોના વિહાર કરવા એ ગધ્ધામજૂરી છે. ઈર્યાસમિતિનું પાલન થઈ શકે એટલો વિહાર કરવો. આજનાં સાધુસાધ્વી જે ઉગ્ર વિહાર કરે છે તેના કારણે ઇર્યાસમિતિ કે એષણાસમિતિ જળવાતી નથી. દોષિત આહાર લેવાની અને અંધારામાં ચાલવાની ફરજ પાડે એવો આ ઉગ્રવિહાર છે. ભગવાનની આજ્ઞા પર પગ મૂક્વો પડે એવું એક પણ પગલું નથી ભરવું. અહીં જે ભિક્ષાવૃત્તિનું વર્ણન કર્યું છે એ રીતે જો નિર્દોષ આહાર લીધો હોય તો પરિણામ પણ કેવા જાગે ? તમારી ભાષામાં કહીએ તો આહાર તેવો ઓડકાર. દીક્ષા લીધા પછી જો પરિણામ બગડ્યા હોય તો તે દોષો સેવ્યા માટે. ભગવાન ના પાડે, ગુરુ ના પડે, શાસ્ત્ર ના પાડે છતાં લેવા માંડ્યા તેથી આ દશા થઈ છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હશે તો આજ્ઞાનો આદર કરવાનું શરૂ કરવું જ પડશે. તપ કરવાની ઉતાવળ કરવા પહેલાં પારણાં કરતાં શીખી લેવું. સાધુ તપસ્વી કેમ કહેવાય ? તપ કરે છે માટે નહિ, આહારનો પરિણામ નથી હોતો માટે તપસ્વી કહેવાય છે. જેને આહારનો પરિણામ હોય તે દોષ સેવે. સાધુને આહારનો પરિણામ ન હોવાથી દોષિત નથી વાપરતા. નિર્દોષ વાપરે છે માટે જ તપસ્વી છે. આહારની પ્રવૃત્તિ હોવા છતાં ઈચ્છા ન હોવાથી તપસ્વી છે. જે દોષિત ન હોય, જે લેવામાં પ્રમાદ સેવાયો ન હોય અને જેમાં સ્વાદ ન આવે તે નિર્દોષ સર્વસંપન્કરી ભિક્ષા છે. બાકી તો પુરુષાર્થનો ઘાત કરનારી ભિક્ષા કહેવાય. નિર્દોષ ભિક્ષાવૃત્તિ એ પણ એક પ્રકારનો તપ છે. આ તપને આચરનારા શ્રમણભગવન્તો મરની જેમ ઘર-ઘરથી ભિક્ષાને દોષરહિતપણે ગ્રહણ કરવામાં તત્પર હોય છે.
(૧)