________________
અપ્પય અર્થાત્ પુષ્પને પીડા પહોંચાડ્યા વિના પણ ભમરો જેમ તૃપ્ત થાય છે તેમ સાધુભગવન્ત પણ થોડું થોડું વહોરવા છતાં પોતાનો નિર્વાહ કરે છે. તમે જેમ શંકા કરો છો કે અનીતિ ન કરીએ તો ભૂખ્યા મરીએ – તેવી કોઇ શંકા કરે તે માટે અહીં જણાવ્યું છે કે બીજાને પીડા પહોંચાડ્યા વિના પણ નિર્વાહ થઇ શકે છે.
સ. થોડું થોડું વહોરે તેના બદલે વધારે વહોરે તો દાતાને લાભ મળે ને ?
જે લાભ આપી આવે તે ભગવાનનો સાધુ ન હોય. સાધુ લાભ આપવા માટે ન જાય પોતાના શરીરના નિર્વાહ માટે ગોચરીએ જાય છે. એ વખતે પોતાની જરૂરિયાત સામે ન જુએ, સામા પાત્રને જોઇને વહોરે. દાતાને કિલામણા ન થાય અને લેનારને સંતોષ થાય : એવો આચાર સાધુનો હોય.
સ. સાધુમહાત્મા પાત્રુ ભરીને ઘી વહોરી લાવ્યા હતા, એવું આવે છે ને ?
ક્યારે લાવ્યા હતા ? અપવાદપદે લાવ્યા હતા. સંયોગવિશેષમાં જે આચરણ કરાયું હોય તેને માર્ગ ન કહેવાય. પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલ્યા હોય તેના માટે અપવાદપદ છે. જે કષ્ટ વેઠવા તૈયાર હોય પણ સહિષ્ણુ ન હોય તેના માટે અપવાદ છે. સુખ ભોગવવાની વૃત્તિવાળા માટે અપવાદ નથી, દુ:ખ વેઠવાની વૃત્તિવાળા માટે અપવાદ છે. લીંબુની ફાડ પણ ચૂસવા કોને અપાય જે દોડયા હોય તેને ને ? શાસ્ત્રમાં ગોચરી તો ગીતાર્થની કહી છે. કેટલું વહોરવું, કોને ત્યાંથી વહોરવું, ક્યારે વહોરવું... વગેરે બધું જેની જાણમાં હોય તેનું આ કામ છે. સામાનો ભાવ અને પોતાનો ભવ બન્ને સાથે જોતાં આવડવું જોઇએ. શ્રી ઇલાતીપુત્ર કેવળજ્ઞાન પામ્યા તે આ આચારના કારણે પામ્યા. દાતા તરીકે પદ્મિની જેવી સ્ત્રી, દેય વસ્તુ તરીકે મોદક અને આગ્રહભરી વિનંતિ છતાં નીચી દૃષ્ટિ રાખીને ગ્રહણ કર્યા વિના પાછા વળ્યા... આ આચાર જોતાંની સાથે પોતાના અનાચારનું ભાન થયું અને તેનો પશ્ચાત્તાપ કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા. આ શ્રી દશવૈકાલિકસૂત્રમાં જે આચાર બતાવ્યા છે તે રીતે તેનું પાલન કરવામાં આવે તો પાંચસો સાધુઓ સાથે હોય તો ય ચિંતા નહિ. આજ્ઞામાં રહેલા હજારો નભે, આજ્ઞાથી વિપરીત ચાલનાર એક પણ ન પાલવે.
શ્રી દશવૈકાલિકસૂત્રના પહેલા અધ્યયનની પાંચ ગાથા માંગલિક તરીકે બોલાય છે. તમે તમારાં સાંસારિક કાર્યો કરતી વખતે પણ માંગલિક સાંભળવા આવો ને ? આ ગાથાઓના અર્થનો વિચાર કરવામાં આવે તો ધંધો કરવાનું, મુસાફરી કરવાનું,
(૬૩)