________________
રક્ષા કરવી એ જ સ્વાર્થ છે અને એ જ પરમાર્થ છે. એક વાર મારા ગુરુમહારાજને તાવ આવ્યો હતો. એકાસણું થઇ ગયું હતું, ઇંજેક્શન લેવો તૈયાર ન હતા. એક ભાઇ ત્યાં બેઠેલા હતા. તે ચિંતામાં પડી ગયા કે શું કરવું. છેવટે કોઇ ઇલાજ ન હોવાથી ઉપાશ્રયમાંથી ઘરે જવા નીકળ્યા. દાદર ઊતરતાં પાછો વિચાર આવ્યો કે આ રીતે તાવમાં આખી રાત પસાર કરવી મુશ્કેલ પડશે. આથી પાછા ફર્યાં અને બામની બાટલી લઇને અડધા કલાક સુધી આખા શરીરે બામ ઘસ્યો. થોડી વારમાં પરસેવો વળી ગયો ને તાવ ઊતરી ગયો. આનું નામ વૈયાવચ્ચ. આ તારકની છાયા નહિ હોય તો તરશું કઈ રીતે ? આ પરિણામ વૈયાવચ્ચને ખેંચી લાવે છે. ગાડી નહિ હોય તો જશું કેવી રીતે–એવો વિચાર આવે તો ગાડીની સંભાળ આપણે જ લેવી પડે ને ? આવા ભાવથી કરાતી વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે, બાકી તો એ મજૂરી જ છે.
સ. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ કેમ કહેવાય છે ?
વૈયાવચ્ચનું નિર્જરા એ જ એક ફળ છે, જે નકામું નથી જતું. જ્યારે સ્વાધ્યાયના ફળ તરીકે નિર્જરાની સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ ગણાય છે. અને એ જ્ઞાનસ્વરૂપ ફળ પ્રમાદાદિથી જતું રહે છે. માટે સ્વાધ્યાય પ્રતિપાતી ગુણ કહેવાય છે. વૈયાવચ્ચનું ફળ નકામું જતું ન હોવાથી તે અપ્રતિપાતી કહેવાય છે. વૈયાવચ્ચ પછી ‘તહેવ સાઓ’ અહીં ‘તહેવ’ કહીને સ્વાધ્યાય ઉપર ભાર આપ્યો છે, કારણ કે સ્વાધ્યાય અળખામણો લાગે છે ને ? ગુરુભગવન્ત ભણવાનું કહે તો ગમે ?
સ. ગુરુભગવન્ત વાત્સલ્યથી જ્ઞાન આપે તો ગમે !
વાત્સલ્ય આપે તો લઇ લઇશું, પણ ન હોય તો શું કરવું ? અજ્ઞાની રહેવું ? સોનામાં સુગંધ હોય તો સારું પણ ન હોય તો સોનાથી પણ ચલાવશું. વાત્સલ્ય ન હોય ને કડકાઇ હશે તો ય નભાવશું પણ જ્ઞાન વિનાના નથી રહેવું – આટલું નક્કી કરવું છે ? સ્વાધ્યાય એ સાધુપણાનો પ્રાણ છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા : આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. પહેલાં સ્વાધ્યાય આત્મસાત્ થાય પછી ધ્યાનની યોગ્યતા આવે. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં ઊંધું છે. નવકારવાળી લઇને ધ્યાનમાં બેસવાનું ગમે પણ સ્વાધ્યાય કરવાનું ન ગમે. જ્યાં સુધી હાથ, પગ અને માથું ચાલે છે ત્યાં સુધી જ્ઞાન મેળવી લેવું છે. પછી ધ્યાનની વાત કરવાની. જ્ઞાન વિના ધ્યાન આવે પણ નહિ અને પચે પણ નહિ. જ્ઞાનની અપૂર્ણતામાં ધ્યાન ધરવા બેસે તો જ્ઞાનથી સર્વથા વંચિત રહેવાનો વખત આવે: એક વિષય પર
(૫૮)