________________
સ. એકલા કાયોત્સર્ગથી નિર્જરા થાય ?
કાયોત્સર્ગમાં તો બધો જ તપ સમાઈ ગયો. શરીરની મમતા જેણે ઉતારી તેણે બધું જ મૂક્યું. ખાવાની મમતા પણ શરીરની મમતાને આભારી છે. શરીરને માફક ન આવતું હોય તો પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ન વાપરો ને ? શરીરની મમતા બહુ ખરાબ છે. શરીરની મમતા નડે તો જે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મનો ક્ષય કરે તે જ જ્ઞાની સમયે સમયે ચીકણાં કર્મો બાંધતો થઈ જાય. એવા વખતે જ્ઞાન પણ કામ ન આવે ને અનશન પણ કામ ન આવે. અને જે શરીરની મમતા ઉતારે તો વાપરનાર સાધુ પણ અનશની ગણાય. એક રાજાની રાણીને સાધુભગવન્તને વંદન કર્યા વિના આહારપાણી ન વાપરવાનો નિયમ હતો. એક વાર વરસાદમાં નદીમાં પૂર આવ્યું હોવાથી રાણી નદીને પેલે પાર ઉદ્યાનમાં રહેલા સાધુભગવન્તને વંદન કરવા જઈ ન શકી. તેથી રાણીએ આહારપાણીનો ત્યાગ કર્યો એ જાણીને રાજાએ રાણીને કહ્યું કે નદી પાસે જઈને કહેજે કે “મારો પતિ બ્રહ્મચારી હોય તો તે નદી! મને માર્ગ આપ.” રાજાના કહેવા પ્રમાણે રાણીની વિનંતિથી નદીએ માર્ગ કરી આપ્યો. સામે કાંઠે જઈ રાણીએ સાધુભગવન્તને વંદન કરી, આહારપાણી વહોરાવીને પોતે પારણું કર્યું. વળતાં કેવી રીતે જવું તેની મૂંઝવણ થતી જાણીને સાધુભગવત્તે કહ્યું કે “સાધુભગવન્ત તપસ્વી હોય તો તે નદી ! મને માર્ગ આપ’. આ પ્રમાણે કહેવું. સાધુભગવન્તના કહેવા પ્રમાણે વિનંતિ કરવાથી ફરી નદીએ માર્ગ કરી આપ્યો. આના ઉપરથી સમજાય છે ને કે રાજાને આસતિ ન હોવાથી અબ્રહ્મની પ્રવૃત્તિ પણ બ્રહ્મચર્યની બાધક ન હતી, તેમ જ સાધુભગવન્તને ય આસક્તિ ન હોવાથી આહારની પ્રવૃત્તિ પણ તપસ્વીપણાની બાધક ન હતી. તે જ રીતે શરીર કે આહાર પર મમત્વ ન હોય તે કાયમ માટે તપસ્વી છે.'
આ રીતે આપણા બાહ્ય તપ પૂરા થયા. તેને બાહ્ય તપ એટલા માટે કહેવાય છે કે તે તપને લોકો તપ તરીકે જાણી શકે છે. જ્યારે અભ્યન્તર તપ લોકની દષ્ટિએ તપ તરીકે નથી જણાતો. આ અભ્યન્તર તપના પણ છ પ્રકાર છે. પહેલો અભ્યત્તર તપ પ્રાયશ્ચિત્ત નામનો છે. પ્રાયઃ કરીને જે ચિત્તને શુદ્ધ બનાવે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અથવા તો જે પાપને છેદે છે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તપ ચિત્તની શુદ્ધિ માટે છે. તપથી પુણ્ય કે દેવલોક નથી જોઈતો, તપથી નિર્જરા કરવી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તપ કરવા છતાં પણ પાપ ન ખટકે તો નિર્જરા થતી નથી. આજે તમે કે અમે તપ ઘણો કરીએ છીએ છતાં કર્મોની નિર્જરા થતી ન હોય, કર્મની લઘુતા
(૪૯)