________________
સ. અશુભ લેશ્માના ઉદ્દયમાં સમતા કેવી રીતે રહે ?
અશુભ લેશ્યાનો ઉદય તો છેલ્લે થયો અને એ પણ ભૂતકાળમાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું માટે ઉદયમાં આવે. તેમણે તો નરકનું આયુષ્ય બાંધી દીધું હતું – એ પોતે જાણતા હોવા છતાંય અંતિમ આરાધના કરવા તત્પર બન્યા ને ? તમે આયુષ્ય બાંધ્યું છે કે નહિ તેની ખબર નથી તો શા માટે પાણીમાં બેસી જાઓ છો ? અશુભ આયુષ્ય બંધાઇ ગયું છે એમ માનીને બેસી રહેવાના બદલે નથી બંધાયું એમ સમજીને કામે લાગવું છે. આયુષ્ય બંધાયું હોય કે ન બંધાયું હોય, સમતા લાવવા માટે કરેલો પ્રયત્ન નકામો નહિ જ જાય. સમતાની ઉપેક્ષા કરવી એ તો અશુભ કર્મને ચાલના આપવા જેવું છે. એના બદલે અસમાધિનાં નિમિત્તો મળતાંની સાથે ઊભા થઇ જવાનું. ઉઘરાણી માટે આવનારાને જોઇને જેવી સંલીનતા કેળવો એવી સંલીનતા કર્મને આવતાં જોઇને અહીં કેળવવી છે.
આ રીતે છ પ્રકારના બાહ્ય તપ પૂરા થયા. બાહ્ય તપ પછી અભ્યન્તરતપ એટલા માટે બતાવ્યો છે કે બાહ્યતપ પણ અભ્યન્તરતપ માટે કરવાનો છે. ભણવું છે માટે તપ કરવાનો છે. આજે લગભગ ઊંધું છે. ભણવુ નથી માટે તપ કરવો છે. ગાથા ચઢતી નથી, અર્થ આવડતા નથી માટે તપ કરે. શાસ્ત્રકારો કહે છે કે ગાથા ચઢતી ન હોય તો બેવડો પ્રયત્ન કરવાનો, ભણવાનું પણ ખરું ને તપ પણ કરવાનો. પાણીની મોટરથી પાણી ચઢતું ન હોય તો શું કરો ? એ મોટર કાઢી નાંખો કે બીજી પણ ભેગી લગાડો ? તે રીતે અહીં પણ ગોખવાનું બંધ નહિ કરવાનું. ગોખવાની સાથે તપ શરૂ કરવાનો.
સ. નબળો હોય એ વધારે નબળો થઇ જાય.
લકવાના દર્દીને ડોક્ટર કસરત કરવા કહે ત્યારે આવી ફરિયાદ કરે ખરો કે એક તો લકવા છે અને પાછી કસરત કરાવો છો ? તે રીતે અહીં પણ બેવડું કષ્ટ વેઠવાથી કઠિન કર્મની નિર્જરા વહેલી થશે અને ક્ષયોપશમ પ્રગટવા માંડશે. એકલી માટીથી ઘડો ન થાય તેમ એકલા અનશનતપથી નિર્જરા ન થાય. તપથી નિકાચિત કોટિના કર્મની નિર્જરા થાય છે એમ કહ્યું છે તે બારેબાર તપ ભેગા થવાથી થાય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મનો ક્ષય કરે છે. એ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તેના ઉપરથી પણ સમજાય એવું છે કે એકલા બાહ્યતપથી નિર્જરા નથી થતી.
(૪૮)