________________
ભાવ તે ભાવ નહિ. સંસાર ઉપરનું બહુમાન ઘટે તેનું નામ ભાવ. એક વાર સંસારનો ભાવ ઘટે પછી મોક્ષની સાધનાનો ભાવ પ્રગટે. અને સાધનાનો ભાવ પ્રગટયા પછી ગમે તેવું કષ્ટ પણ કષ્ટરૂપ ન લાગે. તેથી તપમાં પણ આનંદ આવે.
ભગવાનની આજ્ઞા મુજબ શારીરિક કષ્ટ વેઠવું તેનું નામ કાયક્લેશ. આજે નિયમ આપી દઉં કે દેરાસર અને ઉપાશ્રય જતી વખતે સાધનમાં ન જવું, પોતે વસાવેલું વાહન પણ ન વાપરવું. દેરાસર-ઉપાશ્રયે ખુલ્લા પગે ચાલીને જઇએ તો જ ઉષ્ણ, શીત, કાંટા, કાંકરા વગેરે કષ્ટો વેઠવાનો પ્રસંગ આવે. કાયમ માટે ખુલ્લા પગે ચાલો તો સારી વાત છે પણ એ ન બને તો છેવટે ધર્મસ્થાનમાં તો ઉઘાડા પગે જ જવું–એટલું બને ને ? તમે ડોક્ટર હો અને સાધુસાધ્વીની ટ્રીટમેંટ માટે સાધનમાં જવું પડે તો ભલે, પણ વ્યાખ્યાન કે પૂજા માટે તો પગે ચાલીને જવું. શરીરને કષ્ટ આપ્યા વગર ભગવાનનો ધર્મ આરાધી નહિ શકાય. લાચારીથી દુ:ખ ભોગવવું તે તપ નથી, આજ્ઞાથી દુ:ખ ભોગવવું તે તપ. આજે વાંદણાં આપી શકે એટલા પણ પગ વળે નહિ તેનું કારણ એક જ છે કે ટેવ જ પાડી નથી. કાયક્લેશતપ અભ્યાસથી શક્ય છે. અભ્યાસ પાડતી વખતે પણ ઉદ્દેશ ધર્મનો જોઇએ, શરીરની કસરત કરવાનો કે આરોગ્ય મેળવવાનો નહિ. આજે તો સાધુભગવન્તો પણ પાટે બેસીને બોલવા માંડયા કે ‘આપણા ભગવાને આપણા શરીરની કેટલી બધી ચિંતા કરી છે, ધર્મ પણ એવો બતાવ્યો કે જેથી શરીર સારું રહે !!' ભગવાને કાયાને સારી રાખવાના ઉપાય નથી બતાવ્યા, કાયાને ક્લેશ આપવાના ઉપાય બતાવ્યા છે. શરીરની મમતા ઉતારવા માટે શરીરને સારું બનાવવું જોઇએ કે ક્ષીણ કરવું જોઇએ ? શરીરનું સુખ મેળવવાના ઉપાય ભગવાન ન બતાવે. સંસારનું સુખ છોડીને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો તે કાયક્લેશ. સંસારનું સુખ ન મળે તેથી દુઃખ વેઠે અથવા સુખ મેળવવા દુ:ખ વેઠે તે કાયક્લેશ નહિ. આચાર્યભગવન્ત કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ખમાસમણું પણ આપીએ તો કાયાને કષ્ટ પડયા વિના ન રહે. ખમાસમણાં આપતાં જેટલા સાંધા તૂટે તેટલાં કર્મો તૂટે. પુણ્યયોગે ગમે તેટલી સારામાં સારી ચીજ મળી હોય તોપણ તેનો ઉપભોગ નથી કરવો, ત્યાગ કરવો છે. અને અનાદિકાળથી કાયયોગાદિ દ્વારા કરેલાં બધાં પાપોને સાક્ષાત્ ભોગવવાનો વખત આવે તે પહેલાં પાપમુક્ત બનવા માટે આ કાયક્લેશતપને ઇચ્છાથી(પરાણે નહિ) કરી લેવો છે.
કાયક્લેશ પછી છઠ્ઠો સંલીનતા નામનો બાહય તપ જણાવ્યો છે. સામાન્યથી શરીરનાં અંગોપાંગ વગેરે સંકોચી રાખવાં અને સ્થિર આસને બેસવું તેને સંલીનતા
(૪૬)