________________
દુનિયામાં છે. અધિક દુઃખની કલ્પનામાત્રથી પણ વર્તમાનનું દુ:ખ સહ્ય બની જાય છે. સુખ ભોગવતા રહીએ તો સુખ ભોગવવાની ટેવ પડી જાય છે અને દુઃખ ભોગવતા રહીએ તો દુ:ખ કોઠે પડી જાય છે. સુખની ભયંકરતા સમજાય તો સુખશીલતા છૂટે. સુખશીલતા છૂટે તો સહનશીલતા આવે. સુખશીલતા ન હોય અને સહનશીલતા હોય તો સુખ મજેથી છોડાય અને દુ:ખ મજેથી વેઠાય. આ રીતે પોતાનું સુખ જતું કરી દુ:ખને આવકારે તે જ બીજાને દુઃખ આપ્યા વગર જીવી શકે. જે સુખ છોડે નહિ અને દુઃખ વેઠે નહિ તે બીજાને દુ:ખ આપ્યા વગર ન રહે. માટે સુખ ભોગવવાનો પરિણામ તેનું નામ હિંસા અને સુખ છોડવાનો પરિણામ તેનું નામ અહિંસા. એ જ રીતે દુ:ખ ટાળવાનો પરિણામ તે હિંસા અને દુ:ખ વેઠી લેવાનો પરિણામ તે અહિંસા. બીજાને દુઃખ ન આપવું એ અહિંસારૂપ ઢાળની એક બાજુ છે, જ્યારે આ અહિંસાની ઢાળની બીજી બાજુ તો એ છે કે ચૌદે રાજલોકના જીવો દુ:ખ આપે તો ય વેઠી લેવું છે, પ્રતીકાર નથી કરવો. ‘દુઃખ કોઈને ગમતું નથી માટે મારે કોઈ પણ જીવને દુઃખ આપવું નથી અને દુનિયાનો કોઈપણ જીવ મને દુઃખ આપે તો તેને મજેથી ભોગવી લઈશ’ આનું નામ અહિંસા. હું કોઈને દુઃખી નથી કરતો છતાં લોકો મને રંજાડે - આ કેવો અન્યાય ? આવું માને તે અહિંસા ધર્મ સાચવી ન શકે.
સ. દોષી હોઈએ ને કહે તો વાંધો નહીં, વગર વાંકે દંડે એ ચાલે ?
વર્તમાનમાં ભલે વાંક ન દેખાય, પણ વાંક વગર દંડ કદી કોઈનેય થતો નથી આ વાત સમજી લો. પણ એટલું ય ખરું કે – દોષ કર્યો હોય તો પ્રતીકાર નથી કરવો ! એમાંય પ્રતીકાર કરવાની શક્તિ હોય તો કર્યાં વગર ન રહો ને ? પ્રતીકાર થઈ શકે એવો ન હોય માટે મૌન રહો - એ બને. પરંતુ પ્રતીકાર કરી શકાય એવું હોવા છતાં ગુનો કર્યો છે માટે મૌન રહેવું છે, એટલું ય ખરું ? એટલી તૈયારી હોય તો ય નિસ્તાર થાય. કારણ કે શાસ્ત્રકારો કહે છે કે વગર ગુનાની સજા ભગવાનના શાસનમાં ન હોય, માટે સહન કરી લેવું છે ? કે વર્તમાનનો દોષ નથી માટે પ્રતીકાર કરવો છે ?
-
સ. પ્રતીકાર કરીએ એ જ વર્તમાનની નિર્દોષતાનો પુરાવો કહેવાય ને ? વર્તમાનમાં નિર્દોષ હોવા છતાં દોષી ઠરવું – એ મૂર્ખાઈ ન કહેવાય ?
ખંધકમુનિએ પ્રતીકાર ન કર્યો, સુદર્શન શેઠે પ્રતીકાર ન કર્યો તો મૂર્ખાઈ કરી કે સારું કર્યું ? વર્તમાનમાં ગુનો કર્યો ન હોવા છતાં ખુલાસો કરવો નથી – આટલું બને ?
(૨૮)