________________
સ. દુઃખ પહોંચે તો મિચ્છામિ દુક્કડં આપી દઇએ.
-
તમારો મિચ્છામિ દુક્કડં પણ કેવો ? સામાના દુઃખમાં વધારો કરે એવો ને ? સામાની સાત પેઢીની ભૂલો યાદ કરાવીને, ‘તમને દુઃખ થયું હોય તો મિચ્છામિ દુક્કડં’ કહેવું – એ મિચ્છામિ દુક્કડં આપવાની રીત નથી. ‘તમારો વાંક નથી, મારો જ વાંક છે, મારી જ ભૂલ છે’ - એવું માનવાની – કહેવાની તૈયારી હોય તો સાચો મિચ્છામિ દુક્કડં આપી શકાય. કોઈ પણ જીવને મારવાનું કે દુ:ખ પહોંચાડવાનું કયારે બને ? તે આપણને દુઃખ આપે છે – એવું માનીએ ત્યારે ને ? અને કોઈ આપણને દુઃખ ક્યારે આપી શકે ? આપણે પાપ કર્યું હોય તો ને ? નિર્નિમિત્ત કોઈ આપણને દુ:ખ આપતું નથી. આપણે પાપ ન કર્યું હોય તો કોઈની તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે. આપણે પાપ કર્યું છે માટે બીજા આપણા દુ:ખમાં નિમિત્ત બને છે. આપણે પાપ કર્યું એ આપણો જ વાંક ને ? છતાં આપણા પાપને આગળ કરવાના બદલે એ પાપયોગે આપણા દુ:ખમાં નિમિત્ત બનનારને આગળ કરી, સામે તેને દુ:ખ પહોંચાડવું – તે આપણી જ ભૂલ ને ? પોતાની ભૂલ જોતાં શીખે તે સાચી ક્ષમાપના કરી શકે. ધર્માત્મા તે કે જે ગમે તેવા કપરા સંયોગોમાં પણ પોતાનો વાંક શોધી કાઢે. જે પોતાનાં ગુના ઢાકે અને બીજાનો વાંક કાઢે તે ધર્મી ન હોય. ધર્મી તે કે જે બીજાના વાંક ઢાંકીને પોતાનો વાંક શોધી કાઢે. સંગમે એક રાત્રિમાં ઘોર ઉપસર્ગ કર્યા, છતાં ભગવાને શું વિચાર્યું ? ‘ત્રણ જગતના તારક એવા અમે આના સંસારપરિભ્રમણનું કારણ બન્યા.’ એમ જ ને ? શ્રી ગજસુકુમાલમુનિને માથે અંગારા મુકાયા, શ્રી ઝાંઝરિયામુનિને જીવતાં દાટી દીધા, શ્રી ખંધકમુનિની જીવતાં ચામડી ઉતારાઈ.... છતાં કોઈએ પૂછ્યું નથી કે-કયા ગુનાની સજા છે. પોતે કરેલા પાપનું જ આ ફળ છે એમ સમજી પરમસમતાથી એ મરણાન્ત દુઃખો સહ્યાં તો કેવળજ્ઞાન પામી પરમપદે પહોંચી ગયા. આપણા ભગવાન પોતાનો વાંક જુએ, આપણા સાધુભગવન્તો પોતાનો વાંક જીએ અને તેમના અનુયાયી એવા આપણે બીજાનો વાંક કાઢયા કરીએ-એ કેમ ચાલે ?
/
જે પોતાના દોષો જુએ તે દુ:ખ મજેથી વેઠી શકે. જે દુ:ખ મજેથી વેઠે તે જ બીજાના દુઃખને ટાળી શકે. પોતાના મન, વચન, કાયાના યોગે કોઈના પણ મન, વચન કે કાયાને દુ:ખ ન પહોંચાડવું તેનું નામ અહિંસા. સૂક્ષ્મ જીવ હોય કે બાદર જીવ હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, અપરાધી હોય કે નિરપરાધી હોય, કોઇ પણ જીવને કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાળમાં, રાગાદિ કોઈ પણ ભાવથી; મનથી, વચનથી કે કાયાથી કરવારૂપે, કરાવવા૫ે કે અનુમોદવારૂપે દુઃખ ન પહોંચાડવું – તે અહિંસા.
(૨૦)