________________
“અનાદિકાળથી સંગત મોટી સંગવાસના છે. તત્ત્વજ્ઞાનને અનુસરનારી. એવી દીક્ષાથી જ તેનો નિરાસ થાય છે.'' આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને જે શરીરાદિ છે; તે બધાં પર છે. આત્માને જ્યારે તે અનુકૂળ લાગે છે ત્યારે તેની પ્રત્યે રાગ થાય છે અને જ્યારે એ પ્રતિકૂળ જણાય છે, ત્યારે તેની પ્રત્યે દ્વેષ થાય છે. આ રાગ-દ્વેષની પરિણતિને સંગ કહેવાય છે. આ સંગની વાસના (સંસ્કાર) અનાદિકાળની છે. એ સંસ્કારોના કારણે આત્મા સર્વત્ર અને સર્વદા પરપદાર્થનો સંગ કર્યા જ કરે છે. આ સંગના સંસ્કાર અનાદિકાળથી ખૂબ જ પ્રગાઢ-મોટા થયેલા છે. એનો નિરાસ કરવાના ઉપાય તરીકે અહીં તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષાને જણાવી છે.
મિથ્યાત્વમોહનીયકર્મની પ્રબળતાએ જીવને રાગાદિ દોષો પ્રબળ હોય છે. પરંતુ એ વખતે કર્મની વિષમતાએ જીવને એનો ખ્યાલ પણ હોતો નથી. કોઈ ખ્યાલ આપે તે ગમે પણ નહીં. રોગ ઉત્કટ હોય અને રોગી ભાન ગુમાવી બેઠો હોય ત્યારે જે સ્થિતિ હોય એવી સ્થિતિ મિથ્યાત્વની પ્રગાઢ અવસ્થામાં હોય છે. રોગી ગુમાવેલા ભાનને પાછું મેળવે તો પરિસ્થિતિમાં ચોક્કસ જ સુધારો થઈ શકે. આવી રીતે અહીં પણ જીવ અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રામ કરી લે તો રાગાદિની પરિણતિ દૂર થયા વિના નહીં રહે. બાલ્યકાળની ચેષ્ટાઓ યુવાવસ્થામાં જ્ઞાન- વિશેષના કારણે જેમ દૂર થાય છે તેમ તત્ત્વજ્ઞાનના કારણે દીક્ષા દરમ્યાન અનાદિની રાગાદિવાસનાને દૂર કરી શકાય છે. દીક્ષા દરમ્યાન
૫૧