________________
રાજપુરોહિતની વાત સાંભળી રાજા દુર્લભરાજ પૂર્ણતઃ આશ્વસ્ત અને સંતુષ્ટ થયા. રાજસભામાં ઉપસ્થિત સૂરાચાર્ય આદિ ચૈત્યવાસી આચાર્યોએ રાજપુરોહિતની વાત સાંભળી પરસ્પર મંત્રણા કરી કે - ‘આ વસતિવાસી સાધુઓનો યેનકેન પ્રકારે વાદમાં પરાજિત કરી અહીંથી કાઢી મૂકવા જોઈએ. રોગને ઊગતો જ ડામી દેવામાં ડહાપણ છે.' આ રીતે વિચાર કરી એ ચૈત્યવાસી આચાર્યો એ રાજપુરોહિતને કહ્યું : “આપના ઘરે રોકાયેલા યતિઓ સાથે અમે ચર્ચા-વિચારણા કરવા ઇચ્છીએ છીએ.”
રાજપુરોહિતે જવાબ આપ્યો કે - “એમને પૂછીને જે પ્રતિભાવ આવશે તેની આપને જાણ કરીશ.'
રાજપુરોહિતે ઘરે આવી વર્ધમાનસૂરિને વસ્તુસ્થિતિથી અવગત કર્યા અને કહ્યું : “મહાત્મા ! આપના વિપક્ષી આપની સાથે ચર્ચા કરવા ઇચ્છે છે.’’
વર્ધમાનસૂરિએ કહ્યું : “બિલકુલ ઠીક છે. એમાં ડરવાની કોઈ આવશ્યકતા નથી. આપ એમને માત્ર એટલું જ જણાવો કે અગર તેઓ શાસ્ત્રાર્થ કરવા ઇચ્છે છે તો મહારાજ દુર્લભરાજ સમક્ષ જ તેઓ અમારી સાથે વાદ-વિવાદ કરે.”
રાજપુરોહિતે ચૈત્યવાસી આચાર્યોની પાસે જઈ વર્ધમાનસૂરિએ કહેલી વાત કહી. ચૈત્યવાસી આચાર્યોને ધરપત હતી કે નાના-મોટા સર્વ રાજ્યાધિકારીઓ એમને વશવર્તી છે, એટલે એમને કોઈ પણ પ્રકારનો ભય ન હતો. આવી સ્થિતિમાં રાજા સમક્ષ શાસ્ત્રાર્થ માટે કોઈ વાંધો ન હતો. આ પ્રકારે વિચાર કરી ચૈત્યવાસી આચાર્યોએ સહુની સામે જ કહ્યું : “અતિ વિશાળ પંચાશરીય દેવમંદિરમાં અમુક દિવસે શાસ્ત્રાર્થ થશે.’
રાજપુરોહિતે રાજા દુર્લભરાજને એકાંતમાં કહ્યું : “રાજન્ ! દિલ્હીથી આવેલા મુનિઓની સાથે ચૈત્યોમાં નિયત નિવાસ કરનાર અહીંના ચૈત્યવાસી મુનિ ચર્ચા કરવા ઉત્સુક છે. આવો શાસ્ત્રાર્થ ન્યાયવાંદી રાજા સમક્ષ થાય તો શોભા આવે. એટલે શાસ્ત્રાર્થ વખતે વાદ-વિવાદના સ્થળે આપની કૃપાપૂર્ણ ઉપસ્થિતિ સાદર પ્રાર્થનીય છે.”
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૩