________________
વિપાક સૂત્રના દુ:ખ વિપાક અને સુખવિપાક એ ૨ વિભાગ છે. કર્મ સિદ્ધાંત જૈન ધર્મનો એક પ્રમુખ અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. કર્મ સિદ્ધાંતનાં ઉદાહરણો માટે આ આગમ અત્યંત ઉપયોગી છે
એના પહેલા ભાગ દુઃખ વિપાકમાં એવી ૧૦ વ્યક્તિઓનાં વર્ણન છે, જેમને અશુભ કર્માનુસાર અનેક કષ્ટ સહન કરવાં પડ્યાં. બીજા ભાગમાં સુબાહુ-ભદ્રનંદિ આદિ ૧૦ રાજકુમારોનાં સુખમય જીવનનું વર્ણન છે. આ બધાએ પૂર્વભવમાં તપસ્વી મુનિને પવિત્ર ભાવથી નિર્દોષ આહારનો પ્રતિલાભ આપી સંસારનો અંત કર્યો અને ઉત્તમકુળમાં જન્મ લઈ સુખપૂર્વક સાધનાથી મુક્તિ પ્રાપ્ત કરી.
૧૨. દૃષ્ટિવાદ
દૃષ્ટિવાદ શ્રુતપુરુષનું બારમું અંગ છે. તેમા સંસારનાં સમસ્ત દર્શનો અને નયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અથવા જેના સમ્યક્ત્વ આદિ દૃષ્ટિઓ અર્થાત્ દર્શનોનું વિવેચન કરવામાં આવ્યું છે.
આ ગ્રંથ વિલુપ્ત થઈ ચૂક્યો છે. અતઃ વર્તમાનમાં આ અનુપલબ્ધ છે. વી. નિ. સં. ૧૭૦મા શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગગમન પશ્ચાત્ દૃષ્ટિવાદનો હ્રાસ-પ્રારંભ થયો અને વી. નિ. સં. ૧૦૦૦મા પૂર્ણતઃ (શબ્દ રૂપમાં પૂર્ણતઃ અને અર્થરૂપમાં અધિકાંશતઃ) વિલુપ્ત થઈ ગયો.
સ્થાનાંગ સૂત્રમાં દૃષ્ટિવાદનાં ૧૦ નામ બતાવવામાં આવ્યા છે, જે આ પ્રકારે છે :
૧. દૃષ્ટિવાદ, ૨. હેતુવાદ, ૩. ભૂતવાદ, ૪. તથ્યવાદ, ૫. સમ્યવાદ, ૬. ધર્મવાદ, ૭. ભાષાવિચય, ૮. પૂર્વગત, ૯. અનુયોગગત્ અને ૧૦. સર્વપ્રાણભૂતજીવસત્વસુખાવહ.
સમવાયાંગ અને નંદીસૂત્ર અનુસાર દૃષ્ટિવાદના ૫ વિભાગ કહેવામાં આવ્યા છે :
૧. પરિક્રમ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. દૃષ્ટિવાદનો ત્રીજો વિભાગ-પૂર્વગત વિભાગ અન્ય બીજા વિભાગોથી અધિક વિશાળ અને ઘણો મહત્ત્વનો માનવામાં આવ્યો છે. એના અંતર્ગત ચૌદ પૂર્વ હતા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SC