________________
આમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૧૦ ઉદ્દેશનકાળ અને ૧૦ સમુદ્દેશનકાળ કહેવામાં આવ્યા છે. આમાં સંખ્યાત ૧૦૦૦ પદ છે. વર્તમાનમાં આ આગમનું પરિમાણ ૮૧૨ શ્લોક - પ્રમાણ છે.
આના ૧૦ અધ્યયનોમાં આનંદ આદિ વિભિન્ન જાતિના વ્યવસાયવાળા શ્રાવકોની જીવનચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. દસ અધ્યયનના દસ શ્રાવકોનાં નામ ક્રમશઃ આ પ્રકારે છે :
૧. આનંદ ગાથાપતિ, ૨. કામદેવ, ૩. ચુલનીપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. કુંડકૌલિક, ૭. કુંભકાર શકડાલપુત્ર, ૮. મહાશતક, ૯. નન્દિનીપિતા અને ૧૦. સાલિહીપિતા.
શાસ્ત્રમાં વર્ણિત આ બધા ઉપાસક ૧૨ વ્રતધારી શ્રાવક હતા. મહાશતક સિવાય બધાની એક-એક પત્ની હતી. બધાએ ૧૪ વર્ષ સુધી ઉપાસકધર્મનું પાલન કરી ૧૫મા વર્ષે શ્રમણધર્મ નજીક પહોંચવાની ભાવનાથી પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રોને ગૃહસ્થી સોંપીને શ્રાવકના વેશમાં શનૈઃ શનૈઃ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી અંતે શ્રમણભૂત પ્રતિમામાં મુનિની જેમ ત્રિકરણ-ત્રિયોગથી પાપનિવૃત્તિની સાધના કરી.
આનંદની સાધના ઉપસર્ગરહિત રહી. અન્ય ઉપાસકો કામદેવથી શકડાલપુત્ર સુધીનાને દેવકૃત ઉપસર્ગ અને મહાશતકને સ્ત્રીનો ઉપસર્ગ થયો. બધાએ ૨૦ વર્ષની અવધિ સુધી શ્રાવકધર્મનું પાલન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી અને આગામી ભવમાં મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને તેઓ બધા મોક્ષના અધિકારી બનશે.
સદ્ગૃહસ્થો - શ્રાવક શ્રાવિકાઓના આગારધર્મ ઉપર પર્યાપ્ત પ્રકાશ નાખતો આ આગમ ગૃહસ્થોને માટે ઘણો ઉપયોગી છે. આમાં જે પ્રકારના સદાચારનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે, એ અનુસાર જો પ્રત્યેક ગૃહસ્થ પોતાના જીવનને ઢાળવાનો પ્રયાસ કરે, તો એ માનવતા માટે વરદાન સિદ્ધ થઈ શકે છે.
૮. અંતકૃતદશા
આઠમું અંગ અંતકૃતદશા (અંતગડદસા) છે. આમાં ૧ શ્રુતસ્કંધ, ૮ વર્ગ, ૯૦ અધ્યયન, ૮ ઉદ્દેશનકાળ અને ૮ સમુદ્દેશનકાળ તથા પરિમિત વાચનાઓ છે. આમાં પદોની સંખ્યા ૧૦૦૦ છે. વર્તમાનમાં આ અંગશાસ્ત્ર ૧૯૦૦ શ્લોક - પરિમાણનો છે. આમાં આઠેય વર્ગ ક્રમશઃ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)