________________
યુગપ્રધાનાચાર્ય આર્ય વજ્ર સ્વામી
ભગવાન મહાવીરના શાસનમાં થયેલા પ્રભાવશાળી આચાર્યમાંના એક વજ સ્વામીનું ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેઓ અઢારમા યુગપ્રધાનાચાર્ય હતા. એમના જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે એમને જન્મ પછી તરત જ જાતિ-સ્મરણજ્ઞાન થતા એમના જન્મની પહેલા દિવસથી જ સંસારથી સમગ્રતયા વિરક્ત અને વૈરાગ્ય ભાવનાઓથી ઓળઘોળ થઈ આજીવન સ્વ-પર કલ્યાણમાં મચી રહ્યા.
આર્ય વજ સ્વામીના પિતામહ શ્રેષ્ઠી ધન અવંતી પ્રદેશના તુંબવન નામના નગરના રહેવાસી હતા. એમની ગણતરી અવંતી રાજ્યના અત્યંત સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠિત અને પ્રમુખ શ્રેષ્ઠીઓમાં કરવામાં આવતી હતી. તેઓ દાનવીર, દયાળુ તેમજ ઉદાર સ્વભાવ ધરાવનારા હતા, તેથી તેમનું યશોગાન દૂર-સુદૂર સુધી ગવાતું હતું.
એ દિવસોમાં તુંબવન નગરમાં ધનપાલ નામનો એક વેપારી રહેતો હતો, જે અઢળક ધનસંપદાનો સ્વામી હતો. શ્રેષ્ઠી ધનપાલનો સમિત નામનો પુત્ર અને સુનંદા નામની સર્વગુણસંપન્ન અત્યંત રૂપસૌંદર્યા પુત્રી હતી. શ્રેષ્ઠીપુત્ર સમિતે આર્ય સિંહગિરિના ઉપદેશથી પ્રતિબોધિત થઈ કિશોરાવસ્થામાં જ પોતાના પિતૃક અતુલ વૈભવને ત્યજીને ઉત્કૃષ્ટ વૈરાગ્યની સાથે સિંહગિરિની પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી.
આ તરફ સુનંદા વિવાહયોગ્ય છંતાં ધનપાલ ચિંતિત રહેવા લાગ્યો. પોતાની જેમ જ કુળ, શીલ અને વૈભવશાળી શ્રેષ્ઠી ધનના પુત્ર ધનગિરિને પોતાની પુત્રી માટે સુપાત્ર સમજીને ધનપાલે એની સામે સુનંદા સાથે પાણિગ્રહણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
ભોગો પ્રત્યે અનિચ્છા હોવા છતાં પણ ધનપાલના અત્યાધિક પ્રેમપૂર્વક આગ્રહ સામે ધનિરિએ નમવું પડ્યું. આખરે એક દિવસે સારું મુહૂર્ત જોઈ બંનેના વિવાહ ઘણા હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાયા. નવદંપતી સહજ-સુલભ સાંસારિક ભોગોપભોગોનો મર્યાદામાં રહીને ઉપભોગ કરવા લાગ્યા. થોડા જ દિવસો પછી સુનંદાની કુક્ષિમાં એક ભાગ્યશાળી જીવે અવતાર લીધો.
૨૫૪ | ૭૩
ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)