________________
પંચસંગ્રહ-૧
૩૮૦
તિર્યંચોને હોય છે ત્યારે આ પાંચે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ દેવ અને નારકો કરે છે. એકેન્દ્રિય-સ્થાવર અને આતપ નામકર્મનો ઉદય એકેન્દ્રિયોને હોય છે અને આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ઈશાન સુધીના દેવો કરે છે.
ઉત્કૃષ્ટસ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામે થાય છે અને નિદ્રોદય અવસ્થામાં અતિ સંક્લિષ્ટ પરિણામ હોતા નથી તેથી નિદ્રાનો ઉદય ન હોય ત્યારે પાંચે નિદ્રાઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે માટે આ પંદરે પ્રકૃતિઓ અનુદયબંધોત્કૃષ્ટા છે.
પોતાનો ઉદય હોય ત્યારે પોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યગતિ વગેરે ત્રીસ પ્રકૃતિઓ ઉદય સંક્રમોત્કૃષ્ટા છે.
સમ્યક્ત્વ મોહનીય સિવાયની આ સઘળી પ્રકૃતિઓની પોતપોતાના મૂળકર્મની સ્થિતિથી ઓછી જ સ્થિતિ બંધાય છે. તેથી મનુષ્યગતિ વગેરેની પ્રતિપક્ષી જે નરકગતિ વગેરે પોતપોતાના મૂળકર્મ જેટલી સ્થિતિવાળી બંધાય છે. તેઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી ઉદયપ્રાપ્ત મનુષ્યગતિ વગેરેનો બંધ શરૂ કરી પૂર્વબદ્ધ નરકગત્યાદિકની બંધાવલિકા વ્યતીત થયા બાદ તુરત જ ઉદયાવલિકા ઉપરની એટલે બંધાવલિકા અને ઉદયાવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિવાળી નરકગતિ આદિને બંધાતી મનુષ્યગતિ આદિની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે માટે મનુષ્યગત્યાદિ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિસત્તા થાય છે. એ જ રીતે સાતાવેદનીયના ઉદયવાળો કોઈક જીવ અસાતાવેદનીયનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ સાતાનો બંધ શરૂ કરી પૂર્વે બંધાયેલ અસાતાવેદનીયને બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળી અસાતાને સાતાવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે સાતાવેદનીયની સંક્રમ દ્વારા આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ થાય.
દર્શનત્રિકની સત્તાવાળો કોઈ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વ મોહનીયનો સિત્તરે કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જ રહી તરત જ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે તે જ સમયે પૂર્વે બંધાયેલ અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત્વ મોહનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે સમ્યક્ત્વ મોહનીયની સંક્રમ દ્વારા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તરે કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય ઇત્યાદિ.
પોતાનો ઉદય ન હોય ત્યારે પોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યાનુપૂર્વી વગેરે તેર પ્રકૃતિઓ અનુદયસંક્રમોત્કૃષ્ટા છે, મિશ્રમોહનીય સિવાય આ બારે પ્રકૃતિઓનો પોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલો કોઈનો સ્થિતિબંધ થતો નથી, પરંતુ મનુષ્યાનુપૂર્વી પંદર કોડાકોડી સાગરોપમ, તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક અંતઃકોડાકોડી સાગરોપમ, દેવદ્વિક દસ કોડાકોડી સાગરોપમ, સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી બંધાય છે.
તેથી મનુષ્યાનુપૂર્વી આદિની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટબંધ કરી ઉદયમાં નહિ આવેલ એવી આ મનુષ્યાનુપૂર્વી આદિનો બંધ શરૂ કરે અને બંધાવલિકા વ્યતીત