________________
દ્વિતીયદ્વાર
૨૦૭
સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિકાળ અંતર છે.
તથા પ્રત્યેક શરીરપણાને છોડી સાધારણ શરીરમાં ઉત્પન્ન થઈ ફરી કાળાંતરે પ્રત્યેક શરીરપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધારણનો અઢી પુગલ પરાવર્તન પ્રમાણ કાયસ્થિતિકાળ અંતર છે.
તથા સંજ્ઞીપણું છોડી અસંજ્ઞીમાં ઉત્પન્ન થઈ ફરી સંજ્ઞીપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંજ્ઞીનો અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાયસ્થિતિ પ્રમાણ અંતરકાળ છે.
અહીં અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ અસંજ્ઞીનો જે કાયસ્થિતિકાળ લીધો છે, તે વનસ્પતિ આશ્રયી લીધો છે, કારણ કે સંજ્ઞી સિવાયના એકેન્દ્રિયાદિ સઘળા અસંજ્ઞી જ કહેવાય છે, તેથી તેનો ઉપરોક્ત વિરહકાળ ઘટી શકે છે.
તથા પુરુષવેદ અથવા સ્ત્રીવેદને પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તે બંનેનું નપુંસકવેદનો અસંખ્ય પુદ્ગલપરાવર્તન પ્રમાણ કાયસ્થિતિકાળ અંતર છે.
અહીં એટલું વિશેષ સમજવું કે પુરુષવેદના વિરહકાળનો વિચાર કરતાં સ્ત્રીવેદનો કાયસ્થિતિકાળ અધિક લેવો, અને સ્ત્રીવેદના વિરહકાળનો વિચાર કરતાં પુરુષવેદનો કાયસ્થિતિકાળ અધિક ગ્રહણ કરવો. અલ્પ હોવાથી ગાથામાં કહ્યો નથી. કારણ કે નપુંસકવેદના કાયસ્થિતિકાળની અપેક્ષાએ સ્ત્રીવેદનો પૂર્વકોટિ પૃથક્વ અધિક સો પલ્યોપમ પ્રમાણ, અથવા પુરુષવેદનો કેટલાંક વર્ષ અધિક શત પૃથક્ત સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિકાળ અલ્પ જ છે. અથવા કેટલાક વર્ષ અધિક શત પૃથક્ત સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિકાળ અલ્પ જ છે. અથવા ગાથાના અંતે મૂકેલ “ચ” શબ્દ અનુક્તનો સમુચ્ચાયક હોવાથી જ ઉપરોક્ત અધિક કાળ ગ્રહણ કર્યો છે એમ સમજવું.
આ પ્રમાણે સ્થાવર સૂક્ષ્મ પ્રત્યેક શરીર સંજ્ઞી અને સ્ત્રી-પુરુષવેદનું અંતર કહ્યું. હવે ત્રસ, બાદર, સાધારણ, અસંજ્ઞી અને નપુંસકવેદનું અંતર આ જ ગાથાના ત્રણ પદથી કહે છે– સ્થાવર, સૂક્ષ્મ, પ્રત્યેક શરીરી, સંજ્ઞી અને સ્ત્રી-પુરુષવેદ એ દરેકનો જે કાયસ્થિતિ કાળ છે તે અનુક્રમે ત્રસ બાદર સાધારણ અસંજ્ઞી અને નપુંસકનો વિરહકાળ સમજવો.
- જેમ કે કસપણું છોડી સ્થાવરમાં ઉત્પન્ન થઈ ફરી ત્રસપણું પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થાવરનો આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસંખ્યયુગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિ વિરહકાળ જાણવો.
- તથા બાદરભાવને છોડી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ફરી બાદરભાવને પ્રાપ્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સૂક્ષ્મનો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશોને પ્રતિસમય અપાર કરવા વડે ઉત્પન્ન થયેલ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ વિરહકાળ સમજવો. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનું અંતર વિચારીએ તો સૂક્ષ્મ પૃથ્વીકાય જીવ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાદર પૃથ્વીકાય જીવની સ્વકાસ્થિતિ પૂર્ણ કરી પુનઃ સૂક્ષ્મ પૃથ્વીકાયમાં આવે એ અપેક્ષાએ ઉક્ત અંતર ઘટી શકે. તત્ત્વ કેવલીગમ્ય.