________________
અત્યાર સુધી બોરસદમાં બંને ભાઈઓ જુદા રહેતા હતા. પણ વિઠ્ઠલભાઈ વિલાયત ગયા, એટલે સરદારે ભાભીને પોતાને ત્યાં રહેવા બોલાવ્યાં. ભાભીનાં ભાઈભાભી પણ વિઠ્ઠલભાઈને ત્યાં રહેતાં હતાં. તેમને પણ સરદારે પોતાને ઘેર રાખ્યાં.
દિવાળીબાએ તો માનતા માનવા માંડી, બાધાઆખડીઓ કરવા માંડી અને બ્રાહ્મણોને જમાડવા માંડ્યા. એવું એવું કેટલુંય ખોટું ખર્ચ કરવા માંડ્યું.
સરદારે એ બધું જરા પણ કચવાયા વિના શાંતિથી સહન કર્યું.
પરંતુ દેરાણી-જેઠાણીને રોજ ઝઘડા થવા લાગ્યા અને ઘરમાં જબરો ક્લેશ પેઠો !
મોટાભાઈ પરદેશ ગયા હતા, તેથી સરદારે ભાભીને કશું ન કહેતાં પોતાનાં ધર્મપત્ની ઝવેરબાને પિયર મોકલી દીધાં. વિઠ્ઠલભાઈ વિલાયતથી પાછા આવ્યા, ત્યાં સુધી એટલે બેએક વરસ ઝવેરબા પિયર જ રહ્યાં.
આમ, સરદારને માથે ઘરનું ખર્ચ વધ્યું. દર મહિને વિલાયત રકમ મોકલવાનું ખર્ચ પણ ઉમેરાયું. વધારામાં ઝવેરબાને પિયર રાખવાં પડ્યાં. પરંતુ સરદારે એ વિશે કોઈની આગળ વરાળ સરખી કાઢી નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org