________________
20
પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થશે. તે સીતાનું અપહરણ કરી લેશે. આ રીતે સીતાના લગ્ન રામ સાથે નહિ થાય, તેથી મારા વેરનો બદલો વળશે.
જુઓ ! કર્મની કેવી વિચિત્રતા છે. સીતાએ જાણી જોઈને નારદજીને માર ખવડાવ્યો નહોતો. યુવાન આર્ય સ્ત્રી કોઈ વિચિત્ર વેશધારી અજાણ્યા માણસને જોઈને ગભરાઈ જાય. તેની બૂમાબૂમ સાંભળીને તેના દાસ-દાસીઓ, રક્ષકો વગેરે સત્ત્વર આવીને પોતાનું કર્તવ્ય બજાવે, તે કાંઈ અણઘટતું કાર્ય નથી. તો પછી આમાં વેર વાળવા માટે બદલો લેવાની ભાવના શા માટે થવી જોઈએ ? પરંતુ મોહનીય કર્મના ઉદયથી વિનયવાન એવા નારદજીને પણ કોઈ લાંબો વિચાર ન આવ્યો. આવી છે કર્મની વિચિત્રતા ! આવેશમાં આવીને તેમણે બદલો લેવાનો નિશ્ચય કર્યો. ફળસ્વરૂપે સજ્જન તેમજ ચારિત્રવાન એવા જનકરાજા અને સીતા ઉપર આપદાઓ આવી પહોંચી.
આટલું જાણ્યા પછી તુરંત જ ચંદ્રગતિરાજાએ નારદજીને પોતાને ત્યાં પધારવા કહેવડાવ્યું. આદર અને ભક્તિપૂર્વક તેમનો સત્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું,- “આપે મારા યુવરાજ ભામંડલને રૂપ અને યૌવનથી સુશોભિત એવી એક કુળવાન કન્યાનું ચિત્ર બતાવ્યું છે. શું આપ બતાવી શકશો કે એ કન્યા કોણ છે ? કયા કુળમાં જન્મેલી છે.’’ નારદજીએ કહ્યું, - “હે રાજનું! આ છબી મિથિલાનરેશજનકરાજાની પુત્રી સીતાની છે. સ્વર્ગલોકની અપ્સરાઓ, ગંધર્વકન્યાઓ કે નાગકન્યાઓ પણ રૂપમાં આ કન્યાની બરાબરી કરી શકતી નથી, તો પછી બીજી મનુષ્યકન્યાઓમાં આના જેવું રૂપ ક્યાંથી હોય? ખરેખર તો, આ કન્યા એટલી સૌંદર્યવાન છે કે જગતનો સારામાં સારો ચિત્રકાર પણ તેનું આબેહુબ ચિત્ર બનાવી શકે તેમ નથી. કોઈ કવિ પણ તેના રૂપને શબ્દોથી વર્ણવી શકે તેમ નથી. આ કન્યા આપના પુત્ર માટે દરેક પ્રકારે યોગ્ય છે.” ચંદ્રગતિ રાજાએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું,- “હે પુત્ર! મિથિલાનરેશની પુત્રીની સાથે તારા લગ્ન થઈને જ રહેશે, આ મારું તને વચન છે. તેથી હવે તું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જા. ત્યાર બાદ રાજાએ નારદજીને આદરપૂર્વક સન્માન સાથે વિદાય કર્યા.
નારદજીએ કાપડના પટ ઉપર સીતાનું એક અદ્ભુત ચિત્ર તૈયાર કરાવ્યું. તે ચિત્રપટ તેમણે યુવરાજ ભામંડલ સામે રજૂ કર્યું. સીતાનું રૂપ જોઈને ભામંડલ કામદેવના પાંચેય બાણોથી ઘાયલ થઈ ગયો. ક્યારેક તે આખી રાત ઉંઘી પણ શકતો નહોતો, તો ક્યારેક સુધબુધ ખોઈ તે જોગીની જેમ બેસી રહેતો. ખાવાપીવાની બાબતમાં પણ તેનું ધ્યાન રહ્યું નહિ. કામદેવનાં પાંચેય બાણ ફૂલોથી બનેલા હોય છે. પણ તે મનુષ્યોના વિદ્યા, વિનય, વિવેક, સંયમ અને સદાચાર બધાને વેરવિખેર કરી નાંખે છે. કામજ્વર જીવને અસ્થિર કરી નાંખે છે. વિષયસુખનું ફળ ભવિષ્યમાં કેટલું ભયંકર કડવું બને છે, તે ન સમજનારા જીવો, ચિત્ર જે ફક્ત આભાસ માત્ર હોય છે, તે જોઈને કેવા વિવેકહીન બની જાય છે ? અશાંતિનો શિકાર બની જઈ કર્મનો બંધ કરે છે. પોતાના પુત્રની દયામણી હાલત જોઈને ચંદ્રગતિ રાજાએ તેને પૂછયું કે, “હે પુત્ર ! શું તું કોઈ માનસિક કે કોઈ શારીરિક પીડાથી દુઃખી થઈ રહ્યો છે ? કે પછી કોઈએ તારું અપમાન કરી તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે..?'' પરંતુ શરમાએલો ભામંડલ કોઈ જવાબ ન આપી શક્યો અને મોટું ફેરવીને બેસી ગયો.
કુળવાન આત્માઓ વડીલોની સામે પોતાના ગમા-અણગમાં વિશેની વાતો ક્યારેય કરતા નથી. પોતાના કુળની મર્યાદાઓ તેમને તેવું કરતાં રોકી રાખે છે. આજના જમાનામાં વ્યક્તિસ્વાતંત્ર્યના લોભામણા નામથી હદ બહારના દ્રાચારો થઈ રહ્યા છે, જે અનર્થ રૂપ છે. આપણો સામાજિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિનિપાત આપણને દુર્ગતિનો શિકાર બનાવે છે. ભામંડલ કામી ચોક્કસ હતો, પરંતુ કુળમર્યાદાઓથી જરા પણ અજાણ નહોતો. તેથી જ લજ્જા મૂકીને પોતાના પિતા સમક્ષ તેમના પ્રશ્નનો જવાબ આપ્યો નહિ. તેથી ચંદ્રગતિ રાજાએ ભામંડલના મિત્રોને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે તેઓએ નારદજી દ્વારા બતાવવામાં આવેલ સ્ત્રીના ચિત્રની હકીકત તેમને કહી સંભળાવી.
ત્યાર પછી ચંદ્રગતિ રાજાએ ચપલગતિ નામના વિદ્યાધરને જનકરાજાનું અપહરણ કરી રથનુપુરનગરમાં પોતાના રાજમહેલમાં લઈ આવવાનો આદેશ આપ્યો. મિથિલાનગરી પહોચીને ચપલગતિ વિદ્યાધરે બધા લક્ષણોથી શોભતાં એવા શ્વેતવર્ણના ઘોડાનું રૂપ ધારણ કર્યું. રાજા જનક આવા અશ્વરત્નને જોઈને મોહાધીન થઈ ગયા. આવો પાણીદાર ઘોડો પોતાની અશ્વશાળામાં હોય, તો સારું, એવી લાલચ એમને લાગી ગઈ. વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં જનક ઘણા જ વિવેકવાળા હતા, પરંતુ લાલચથી તેઓ પણ મુક્ત નહોતા. ખાવાની અતિશય લાલચથી માછલા કે પક્ષીઓ જાળમાં ફસાઈ જાય છે અને ક્યારેક પોતાનો જીવ ખોઈ બેસે છે, તો ક્યારેક પોતાની સ્વતંત્રતા પણ હારી જાય છે. લાલચથી મોહ પામેલા જનકરાજા પણ પેલા ઘોડા પાછળ પાછળ ગયા અને છેવટે તેને પકડી પાડી તેના ઉપર સવાર થઈ ગયા. પેલા ઘોડાએ તરત જ દોટ મુકી અને આકાશમાર્ગે ઉડીને તે સીધો ચંદ્રગતિ રાજાના રથનુપુરનગરે પહોંચી ગયો. આ તફ મિથિલાનગરીમાં ભયંકર હાહાકાર મચી ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.janabrary.org