________________
અહીં અયોધ્યાનગરીમાં દશરથરાજાએ પોતાના મંત્રીઓને બોલાવી નારદજીએ કહેલ વાતો ઉપર ચર્ચા વિચારણા કરી. તેના ફળસ્વરૂપે બધાએ એકમતે સલાહ આપી કે ‘અનિચ્છનીય ઘટના બને, તે પહેલાં યોગી પુરુષોની જેમ મહારાજાએ રાજ્યભાર પોતાના મંત્રીઓને સોંપી વનવાસ લેવો, એ ઉત્તમ માર્ગ જણાય છે. રાક્ષસવંશનું પરાક્રમ તો ઉત્તમ કોટિનું હોય જ છે, સાથે સાથે તેઓ ગુપ્ત અને માયાવી વિદ્યાઓમાં એટલા નિપુણ છે કે તેનાથી બચવું પ્રાયઃ અશક્ય છે” સર્વસંમત નિર્ણય મુજબ માત્રદુર્ઘટના ટાળવા અયોધ્યાપતિ દશરથ રાજાએ વનવાસ સ્વીકારી લીધો અને ભગવા વસ્ત્રો ધારણ કરી એકલાએ જ વનની વાટ પકડી લીધી. રાજાના પ્રયાણ બાદ મંત્રીઓએ દશરથ રાજા જેવી જ આબેહુબ કદ અને માપની લાખની મૂર્તિ (લેપ્યમૂર્તિ) ગુપ્ત સ્થળે બનાવડાવી અને તે મૂર્તિને રાજાના શયનખંડમાં સુવડાવી દીધી. જનકરાજાના મંત્રીઓએ પણ જનક રાજાને આવી જ સલાહ આપી. તેઓએ પણ પોતાનું રાજ્ય મંત્રીઓને સોંપીને વનની વાટ પકડી લીધી. જનકરાજાની મૂર્તિ પણ તેમના મંત્રીઓએ બનાવડાવી તેમના શયનખંડમાં પધરાવી.
જ્યારે પુણ્યનો ઉદય થાય છે, ત્યારે ગમે તેટલી વિપત્તિઓ આવે, તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શકતું નથી, એ નિશ્ચિત છે. જ્યારે દશરથ રાજા બાલ્યાવસ્થામાં જ હતા, ત્યારે તેમના પુણ્યોદયના કારણે તેમને પોતાને કે આખા રાજ્યમાં કોઈને કોઈ પણ જાતની લેશમાત્ર પણ આંચ આવી ન હતી. પરંતુ જ્યારે પાપનો ઉદય આવ્યો, ત્યારે દશરથ રાજા તેમજ જનકરાજાને પણ પોતાનો જીવ બચાવવા માટે રાજદરબાર છોડી ભગવાશે જંગલમાં ભટકવું પડ્યું.
પાપ કર્મોનો ઉદય થતાં રાજા-મહારાજા રાજ્ય વિહોણા થઈ જાય છે. પુણ્યોદયના કારણે જેની સેવામાં સોળ હજાર (૧૬૦૦૦) દેવતાઓ હાજર રહેતા હતા, તેવા સુભૂમ ચક્રવર્તીને પણ પાપોદયના કારણે દરિયામાં ડૂબી મરવું પડ્યું ! મુંજ રાજાને પણ પાપોદયના કારણે ઘરે ઘરે ભટકીને ભીખ માંગવાનો સમય આવ્યો.
હવે દશરથરાજા અને જનકરાજા યોગી બનીને એકલા જ વનમાં ભટકવા લાગ્યા, તેની જાણ તેમના મંત્રીઓ સિવાય કોઈને પણ નહોતી. તે એટલી હદ સુધી ગુપ્ત હતી કે પોતાની કૌશલ્યા વગેરે રાણીઓને પણ આ વાતની જરા પણ જાણ થવા ન દીધી.
જો ફક્ત એક મોતથી બચવા માટે રાજ્યનો ત્યાગ કરવો ઉચિત ગણાય, તો અનંત જન્મ મરણને નજર સામે રાખીને તેનાથી બચવા માટે સમ્યગ્દષ્ટિ આત્માઓ આખા સંસારનો ત્યાગ કરે, તો તે ઉચિત કેમ ન ગણાય ? તેથી જ સમ્યગ્દષ્ટિ આત્માઓ ભલે ગમે તેટલા ભૌતિક સુખ સામગ્રીઓનો ઉપભોગ કરતા હોય, છતાં તેમની નજર સમક્ષ અનંત જન્મ મરણની ભયંકર વેદના દેખાતી હોય છે અને સમય આવતાં, એક જ ક્ષણમાં ભૌતિક સુખ સામગ્રીઓનો ત્યાગ કરી સહર્ષ વૈરાગ્ય લક્ષ્મીને ગ્રહણ કરી પોતાનું જીવન ત્યાગમય બનાવે છે.
SCAUSGO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibler