________________
સાતમું અધ્યયન વિશ્વશાંતિ અને જૈન પરંપરા
ભૂમિકા
મિ. હોરેસ એલેક્ઝાન્ડર આદિ કેટલીક વ્યક્તિઓએ ૧૯૪૬માં ગાંધીજીની આગળ પ્રસ્તાવ મૂક્યો હતો કે સત્ય અને અહિંસામાં પૂર્ણ વિશ્વાસ ધરાવનારા વિશ્વભરના ગણ્યાગાંઠ્યા શાન્તિવાદીઓ આપની સાથે એક સપ્તાહ કોઈ શાન્ત સ્થાનમાં વીતાવે. તે પછી સેવાગ્રામમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના પ્રમુખપણા નીચે વિચારાર્થ જાન્યુઆરી ૧૯૪૯માં મળેલી બેઠકમાં વિશ્વભરના ૭૫ એકનિષ્ઠ શાન્તિવાદીઓનું સમેલન ભરાઈ રહ્યું છે. આ સમેલનના આમન્ત્રણદાતાઓમાં પ્રસિદ્ધ જૈન ગૃહસ્થ પણ સામેલ છે.
જૈન પરંપરા પોતાના જન્મકાળથી જ અહિંસાવાદી અને જુદાં જુદાં ક્ષેત્રોમાં અહિંસાના વિવિધ પ્રયોગો કરનારી રહી છે. સમેલનના આયોજકોએ અન્ય પરિણામોની સાથે એક આ પરિણામની પણ આશા રાખી છે કે સામાજિક અને રાજકીય પ્રશ્નોને અહિંસા દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરનારા વિશ્વભરના સ્ત્રીપુરુષોનો એક સંઘ બને. તેથી અમારા જૈનોના માટે એ આવશ્યક બની જાય છે કે પહેલાં અમે વિચારીએ કે શાન્તિવાદી સમેલન પ્રતિ અહિંસાવાદી તરીકે જૈન પરંપરાનું શું કર્તવ્ય છે ?
ક્રિશ્ચિયન શાન્તિવાદ હો, જૈન અહિંસાવાદ હો કે ગાંધીજીનો અહિંસામાર્ગ હો બધાની સામાન્ય ભૂમિકા એ છે કે પોતે હિંસાથી બચવું અને યથાસંભવ લોકહિતની વિધાયક પ્રવૃત્તિ કરવી. પરંતુ આ અહિંસાતત્ત્વનો વિકાસ બધી પરંપરાઓમાં કેટલાક અંશોમાં જુદા જુદા રૂપથી થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org