________________
૯૦: આભના ટેકા
ધર્મનું સાધન : અન્તઃકરણ
જ્ઞાની પુરુષે ધર્મ આરાધવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કરણ-ઉપકરણઅન્તઃકરણ. તે ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. પહેલો પ્રકાર : કરણ. ધર્મ આરાધનામાં શરીર એ સાધન છે. શરીરની સપાટીથી ધર્મ થાય છે. બીજો પ્રકાર: ઉપકરણ. ધર્મ કરવા માટે જોઈતા સાધન ઉપકરણ કહેવાય. ઓઘો, મુહપત્તિ, ચરવળો, કટાસણું, નવકારવાળી, પૂજાની થાળી-વાટકી વગેરે ઉપકરણ જોઈએ. ધર્મકાર્ય કરવા આ બધાની જરૂર પડે.
ત્રીજો પ્રકાર : અન્તઃકરણ. પહેલા બે પ્રકાર વડે ધર્મ થાય. એથી વિશેષ અને સર્વોચ્ચ આ પ્રકાર છે. કદાચ કરણ કે ઉપકરણ વિના ધર્મ થઈ શકે પણ અન્તઃકરણ તો જોઈએ જ.
તમે વિચાર કરો. પંચાશક શાસ્ત્રમાં જે એક ઘરડી ડોશીની કથા આવે છે તેમાં આ અન્તઃકરણ દ્વારા થતાં ધર્મનો જ મહિમા બતાવ્યો છે. બાકી કરણ કે ઉપકરણમાં ક્યાં કશો ભલીવાર હતો?
અત્યંત દરીદ્ર ડોશીમાની પાકી ઉંમર, કરચલીવાળું કૃશ શરીર. ૮૦વર્ષની વયે પોતાની આજીવિકા માટે રોજ જાતે જંગલમાં જઈ લાકડા કાપી ભારા લઈ આવવા પડતા હતા ! આંખના દીવાનું તેલ ખૂટવામાં આવ્યું હતું એટલે કે એ અખમ થવા આવી હતી. કાન પણ જવું જવું કરતાં હતાં. પગ તો ક્યારના યે રજા માંગતા હતા. પણ બધું એમ જ નભતું હતું.
એક દિવસ એ ઘરડાં માજી માટે સોનેરી દિવસ ઉગ્યો. લાકડા લેવા જંગલમાં જવા ઘર બહાર નીકળીને જેવા તે ચોકમાં આવ્યા ત્યારે, માણસના ટોળે ટોળા એક દિશામાં જલદી જલદી જતાં જોયાં. માજીએ પૂછ્યું : આટલા બધા માણસ આજે ક્યાં જાય છે?
કોઈકે કહ્યું: ગામ બહાર ભગવાન આવ્યા છે. ત્યાં દર્શન માટે જાય છે.
આટલું સાંભળી માજીના મનમાં શુભ વિચારનો સંચાર થયો. થયું : લાવને હું પણ આજે ભગવાનના દર્શને જાઉં. માજીએ જંગલમાં જવાને બદલે ભવ-જંગલનો અંત લાવનાર ભગવાન તરફ ડગુમગુ ચાલે ડગ માંડ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org