________________
૭૪: આભના ટેકા મો પર નર્યો, નીતર્યો આનંદ ફરક્યા કરે છે. હળવે હાથે, હેતભરી રીતે, આગ્રહથી ત્રીજી પંગતને પણ સોના-રૂપાના થાળ-કટોરામાં પીરસવામાં આવ્યું! . સરભરા તો એવી કે જમનારો અચંબામાં જ પડે !
ત્રણેય પંગત હવે પરવારી, ન્હાઈ-ધોઈ પૂજા-સેવા-મુનિવંદન કરી તથા અન્ય ચૈત્યો જુહારીને, સહુ સાથે જેવા આભૂશેઠને આંગણે આવ્યા ત્યાં તો રસોડામાંથી મઘમઘતાં ઘીની સોડમ આવવા લાગી. બધાએ નાક ભરીને એ સુગંધ માણી. આ વખતે તો લાપસીમા લેવાના ઘીના ગાડવા જ બાજુમાં મૂકી દીધા હતા! ઝાંઝણ તો ઘીના ગાડવાની લાંબી હાર જોઈને જ આભો બની ગયો ! આને તે કેવાં ને કેટલાં દૂઝણાં હશે ! અનાજના કોઠાર ભર્યા હોય એ તો સમજાય છે, પણ સુગંધથી મન-મગજને તરબતર કરી મૂકે તેવા તાજાં ઘી અને સળી ઊભી રહે તેવા દૂધનાં બોઘરણાં! વાહ! ભાઈ વાહ! દિલની દિલાવરીથી બધું આવી મળે, તે આનું નામ ! પેટને ભરવાની હવે જરૂર ન હતી અને મન તો ક્યારનું યે ભરાઈ ચૂક્યું હતું.
સાંજ પહેલાં પંદરસોનું ધાડું ઉપડ્યું પોસાળમાં આભૂશેઠને પ્રણામ કરવા! ઝાંઝણ તો સીધો આભૂશેઠના પગમાં જ પડ્યો ! હરખનાં આંસુથી શેઠના પગને પખાળવા લાગ્યો ! કેટલીયે વાર સુધી ઝાંઝણે માથું ત્યાં જ ટેકવી રાખ્યું ! ગદ્ગદ્ સ્વરે માંગણી કરી : “મહાશ્રાવક આભૂ ! આજે આપની પાસે ગ્રાહક થઈ માંગું છું. આપનામાં સિદ્ધ થયેલા આ સાધર્મિકવાત્સલ્ય નામના ગુણનો કૃપા કરી મારામાં વિનિયોગ કરો ! મારો બેડો પાર કરો !”
અને એવા જ હર્ષથી ભીનાં ભીનાં નેત્રે આભૂએ ઝાંઝણના મનોભાવનું અભિવાદન કરતાં, તેમની હૃદય-મંજૂષામાંથી : “પ્રભુકૃપાથી તેને પણ આવા ગુણની પ્રાપ્તિ થાઓ!' એમ મોતીની સેર જેવા શબ્દો સરી પડ્યા, જે સાચા થવા જ નિરમાયા હતા. આ શબ્દો સજીવ હતા, પ્રાણ હતા. હૈયાના ભાવથી નીતરતા હતા.
ઝાંઝણે પ્રેમભર્યા હૈયે આભૂશેઠની ક્ષમા માંગી : ‘મેં તો છોકરમત કરી પણ આપ તો નગદ સોનું પુરવાર થયા !'
આભૂશેઠે કહ્યું “આજે મારા મનના મનોરથ પૂર્ણ થયા. ઘણા વખતની ભાવના સફળ થઈ! તમે મને લાભ આપીને ઉપકાર કર્યો.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org