________________
આભના ટેકા : ૬૯
ઘરના ફળિયે ડોકાવા પણ ન ગયા. પગ ઊપડ્યા સીધા ભાવનગર તરફ. સ્ટેશને પહોંચીને જે ગાડી ઊપડતી હતી, તેમાં જ બેસી ગયા. અથડાતા-કૂટાતા પંજાબ પહોંચ્યા. અંબાલા શહેરમાં સુપાર્શ્વનાથ પ્રભુના સાંનિધ્યમાં જીવને હાશકારો થયો ! ત્યાં પંજાબી કમળસૂરિ મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈ વીરજી ભાવસાર મટી મુનિ વીરવિજય મહારાજ બન્યા. એ સાલ હતી વિક્રમ સંવત ૧૯૩૫ ની.
વૈરાગ્ય ઝળહળતો હતો. ક્ષયોપશમ તીવ્ર હતો. કાવ્ય-સ્તવનોની સહેજે સ્ફુરણા થતી હતી. આમેય પંજાબમાં તો ગાના-બજાના જ્યાં ને ત્યાં ચાલતાં જ હોય. મુનિશ્રી વીરવિજયજીએ એ રંગમાં ભગવાનનો રંગ ભેળવ્યો અને ભક્તિભાવનાં અનેક સ્તવનોની મનહર રચનાઓ કરી. પોતે જનમ્યા તો ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ બોલચાલ હિંદીમાં જ કરતા રહ્યા.
વિવિધ રાગ-રાગિણીથી શોભતી રચનાઓ પણ હિંદીમાં કરી. એમનાં રચેલા સ્તવનો પંજાબમાં અને ગુજરાતમાં લોકજીભે ચડ્યાં; ગવાતાં રહ્યાં. જાણે પ્રભુજીની સાથે વાતો કરતા હોય એવા ભાવ એમની રચનાઓમાં આવે !
તેઓ પૂજાઓ, સ્તવનો ખૂબ રંગ-ઢંગથી અને ભાવથી ગાતાં. રસ અને રુચિ એવી કે દિલ એકતાર થઈ જતું.
જીવનની પવિત્રતાના કારણે મુનિશ્રીને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. આવા બે પ્રસંગ યાદ કરવા જેવા છે. એક વરતેજ ગામમાં બનેલો અને બીજો સિહોરમાં બનેલો.
મુનિશ્રી વરતેજમાં બિરાજેલા. ત્યાં શ્રી સંભવનાથ ભગવાનના દેરાસરમાં નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવા ગવૈયો ભાવનગરથી આવવાનો હતો, એવામાં મૂશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. ગવૈયો હવે સમયસર નહીં આવી શકે તેવું લાગ્યું. પૂજાની બધી તૈયારી થઈ ગઈ હતી. મુનિશ્રી પોતે પણ આવીને બેઠા. પૂજાઓ લલકારવી શરૂ કરી; પણ થયું કે હારમોનિયમ ઉપર સૂર આપનાર કોઈ હોય, તો ગાવાનું બરાબર જામે ! તબલાની પણ ઝમક આવે !
શું કરવું ? એવી વિમાસણમાં હતા ત્યાં એમની નજર પૂજામાં બેઠેલા સાકરચંદ ભાવસાર નામના તેર-ચૌદ વર્ષના એક છોકરા પર પડી. વીરવિજયજી મહારાજે કહ્યું : સાકરચંદ, ઊભો થા ! પેટી શરૂ કર !
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org