________________
૫૪: આભના ટેકા
કુદરત, કાળ અને કર્મના ભરોસે તેને છોડી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં અબળા શું કરે ? આંસુ સિવાય કઈ મૂડી એની પાસે છે ! એ આંસુ આંખની કૂઈમાંથી ચૂયાં કરે છે. કેટલાંયે આંસુ આંખથી દડીને ગાલ પર થીજી ગયા. ચંદનનો સાથ છોડવો ગમે જ કેમ ? આંખો સૂઝવા લાગી. દિવસ અને રાત એક બની ગયા હતા. દિવસના સૂરજે અને રાતના તારાઓએ મૂળાનો આભાર માન્યો. આ સુકોમળ કળીનું ક૨વત જેવું દુઃખ ન જોવાત! સારું જ થયું.
ચંદનના હૈયામાં વૈશાખ હતો. આંખમાં શ્રાવણ હતો. હાથ-પગ સાવ ઠંડા એટલે ત્યાં પોષ હતો. વર્ષા-ગ્રીષ્મ-હેમંત આમ એક જ શરીરમાં વસ્યા, તો શરીર શરદના વાદળા જેવું - રૂની પૂણી જેવું સફેદ થઈ ગયું. માત્ર તેના ચિત્તના ઉપવનમાં મૈત્રીની વનશ્રી વસંતની જેમ લહેરાતી હતી. મૂળા પ્રત્યે સહેજ પણ અણગમો ન હતો. રુદન હતું. પણ તે તો પોતાનું બાળપણ યાદ આવ્યું, આજની સ્થિતિ જોડે તે દિવસોની સરખામણી થઈ તેથી રહી રહીને રોવું આવી જતું હતું એટલું જ. દોષ કોઈનો જોવાનો નહીં. ઉપાદાન એટલું ઊંચું છે કે નબળું નિમિત્ત પણ ઉત્તમ ઉપાદાન પામી ઉત્તમમાં નિમિત્ત બની રહે છે. એ સ્થિતિમાં ભૂખ-તરસ તો સમજ્યા – એ બધાને તો સામે ચાલીને સ્વાગતમ્ કરી શકાયાં પણ આ રીતે કોઈએ તીવ્ર દ્વેષથી - દઝાડતાં દ્વેષથી તરછોડી તે કેમ જીરવાય ?
હીબકાં અને ડૂસકાં પણ ધીરે ધીરે વિરમી ગયાં. વેદના જ્યારે ચરમ ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે મૂંગી બની જાય છે. બસ, ત્યારે જ ધનાવહ શેઠ બહારગામથી આવ્યા. શેઠનો કાયમનો શિરસ્તો - વણલખ્યો નિયમ : ઘરમાં પગ મૂકે ત્યાં પહેલી નજર ચંદનાને શોધે. નર્યું વાત્સલ્ય જ નીતરે. ચંદના નજરે ન ચડ્યાં એટલે દાસ-દાસીને પૂછ્યું. બધાને મૂળા શેઠાણીની બીક બહુ. કોઈ ન બોલ્યું. છેવટે ચંદના પ્રત્યેના સહજ સદ્ભાવથી એક ઘરડી દાસીએ ધીમેથી કહ્યું કે ચંદના તો ભોંયરામાં છે. ધનાવહ શેઠ ઝડપથી ભોંયરામાં ગયા. જોઈને સૂનમૂન થઈ ગયા. વાળ વિનાનું માથું, સૂઝીને લાલ લાલ થઈ ગયેલી આંખો. આંસુના ઓઘરાળા ગાલ અને સાવ કરમાઈ ગયેલું મોં જોઈને દુ:ખી દુ:ખી થઈ ગયા. ચંદના પણ સ્વજનને જોઈ ઓર ઢીલી પડી ગઈ. સૌ પ્રથમ અંધારીયા ભંડકિયામાંથી તેને બહાર લાવ્યા. પગમાં તો સાંકળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org