________________
૧૧૪: આભના ટેકા
સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે...
વિ.સં. ૨૦૦૯ની વાત. એટલે હમણાંની વાત ગણાય. નામ એમનું ફુલચંદ કાળીદાસ. રહેવાનું સારંગપુર તળીયાની પોળ - અમદાવાદ. પેઢીનું નામ ફુલચંદ નાનચંદ. ધંધો કાપડનો. દુકાન પાંચકુવા કાપડ મારકીટ. ધંધો સારો ચાલે, સંપત્તિ સારી. નદી પાર બંગલો પણ બાંધેલો. જીવ ભદ્રિક, પ્રેમાળ; બાળકો ઉપર બહુ વહાલ. ધર્મનો રંગ સારો લાગેલો. પ્રભુપૂજા, જિનવાણી શ્રવણ; સાંજે પ્રતિક્રમણ- આવું બધું રોજિંદા જીવનમાં વણાયેલું જીવ નિરાંતનો અને જીવન તો એથી પણ વધુ નિરાંતનું. જો કે એ જમાનો જ આજની સરખામણીમાં ઘણી શાંતિ અને સંતોષ વાળો. એ વખતે પોળમાં લોકો ઘરના ઓટલે બેસી દાતણ-પાણી કરે. સામસામાં બેઠાં હોય, ક્યારેક તો અરધો-પોણો કલાક માત્ર એમાં જ વીતે. દુનિયાભરની વાતો ત્યાં થાય. ગામ આખાની ખબરની આપ-લે થઇ જાય.
એકવાર સાંજનું પ્રતિક્રમણ કરવા ફુલચંદ ઉપાશ્રયે ગયા. પચીસ-ત્રીસ શ્રાવકો પ્રતિક્રમણ કરે. મુનિરાજ શ્રી પ્રબોધવિજયજી મહારાજ ત્યાં સ્થિરવાસ. પવિત્ર અને પ્રભાવશાળી સંયમવેશ. પ્રતિક્રમણ પુરું થયું. શ્રાવકોમાં એક નાથાભાઈ શેઠ (રતિલાલ નાથાભાઇના પિતાજી) પણ હતા. પોળના શેઠ ગણાય. તેમની ઉંમર પંચાવન સાઠ આસપાસની. બીજા પણ લગભગ એ જ વયના. એ બધામાં નાના લાગે તેવા; માંડ ચાલીસ-બેંતાલીસના લાગે એવા આ ફુલચંદ બીજી વાર પરણેલાં. સ્વભાવે આનંદી તેથી બધાં તેમને બે ઘડી બોલાવે, મજાક મશ્કરી પણ કરે
વાતવાતમાં નાથાલાલ શેઠે ફુલચંદને કહ્યું – અલ્યા ફુલા! જો તું ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત) લે તો અમદાવાદ શહેર જમાડું. ફુલચંદે કહ્યું – શેઠ શું કહ્યું? ફરીવાર બોલો તો! નાથાલાલ શેઠે ફરી કહ્યું. પ્રતિક્રમણ કરનાર બધાના કાન ત્યાં મંડાયા. ફુલચંદે કહ્યું – બધાં સાક્ષી છો ને! બધાએ હા કહી. ફુલચંદ કહે : મેં વ્રત લીધું. તો નાથાલાલ કહે : મેં ગામ જમાડ્યું. બીજા બધા ભાઇઓ એ કહ્યું ઃ હાલો સુબોધવિજયજી મહારાજ પાસે વાત કરો અને મુહૂર્ત જોવરાવો. આ તો બધું અંકે થવા લાગ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org