________________
૩૧૦
જ્ઞાનપદ ભજીએ રે આ પ્રમાણે તેની પ્રરૂપણા જાણીને મહાકાળે વિચાર્યું કે- “જો આ પર્વતક અને પિપ્પલાદની પ્રરૂપણાથી રાજાઓ યજ્ઞમાં હિંસા કરવા પ્રવર્તે તો તેઓ મરીને નરકે જાય, અને તેમ થવાથી સગરાદિક રાજાઓ સાથે જે મારે વેર છે તેનો બદલો વળે.” એમ વિચારીને મહાકાળે તે બન્નેને કહ્યું કે- “તમો બને યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ કરો, હું સર્વત્ર તમારું સાનિધ્ય કરીશ.” એમ કહીને મહાકાળે પુર, ગ્રામ વિગેરે સર્વ ઠેકાણે રોગની ઉત્પત્તિ કરી. પછી જ્યાં પર્વતક અને પિપ્પલે હિંસાત્મક યજ્ઞ કરાવ્યો ત્યાં તે અસુરે રોગની શાંતિ કરી અને યજ્ઞમાં હણેલાં પશુઓને દેવતા થઈને વિમાનમાં બેઠેલાં પ્રત્યક્ષ દેખાડયાં. તે જોઈને સગર વિગેરે સર્વ રાજાઓ અત્યંત આદરવાળા થઈ તે પ્રમાણે યજ્ઞ કરવા લાગ્યા. પછી નિર્દય એવા તે બન્નેએ ધીમે ધીમે મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી, પછી મહાકાળે માયા વડે મોહિત કરીને સ્ત્રી સહિત સગર રાજાનો યજ્ઞમાં હોમ કરાવ્યો, તથા પિપ્પલે પણ પોતાનાં માતાપિતાને શોધીને તેમનો યજ્ઞમાં હોમ કર્યો. કેમકે તે બન્નેનો આ કાર્યને માટે જ ઉદ્યોગ હતો. આ પ્રમાણે મહા અનર્થના હેતુરૂપ અનાર્ય વેદોની પ્રવૃત્તિ થઈ. આર્ય વેદો તો ચક્રીને ત્યાં હંમેશાં ભોજન કરતા શ્રાવકોને ભણવા માટે શ્રી તીર્થકરની સ્તુતિમય અને શ્રાદ્ધધર્મનું પ્રતિપાદન કરનારા માણવક નિધિમાંથી ઉદ્ધરીને ભરત ચક્રવર્તીએ રચેલા છે.
આ પ્રમાણે અર્થને અન્યથા કરવા પર પર્વતકનું દૃષ્ટાંત છે. વ્યંજન અને અર્થ એ બન્નેને અન્યથા કરવામાં આ કથામાં કહેલા અનાર્ય વેદોના રચનાર તથા તે અનાર્યવેદની વ્યાખ્યા કરનાર પિપ્પલાદનું દૃષ્ટાંત છે. અથવા “ગુપ્ત” આચાર્યના બે શિષ્યો, નોજીવની સ્થાપના કરનાર “ઐરાશિક રહગુપ્ત" વિગેરેનાં દૃષ્ટાંતો છે તે અન્ય ગ્રંથોથી જાણી લેવાં.
// ઈતિ ષષ્ઠ સપ્તમાષ્ટમા જ્ઞાનાચારઃ /
// ઈત્યવિધો જ્ઞાનાચારઃ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org