________________
૯૨ / ધન્ય આ ધરતી
તે જ રીતે આપણી બધી જરૂરિયાતો માટે આપણા જ ગામમાં વસ્તુઓ બનાવીએ અને સેવાઓ ઊભી કરીએ તો પરદેશની કે દેશની કોઈ પણ કંપનીની વસ્તુઓ કરતાં તે અનેક ગણી સસ્તી બનશે.
અને વધુ સુંદર તથા ગુણવત્તામાં વધુ સારી પણ, કૌશિકે ઉમેર્યું, કારણ કે અત્યારે તો આપણા ગામમાં મોટા ભાગના લોકો બેકાર-અર્ધબેકાર છે એટલે એમની આવડતો પણ મુરઝાઈ ગયેલી છે પણ જો બધાને ધીક્તા ધંધા ગામના જ બજાર માટે મળે તો એમની આવડતો પણ ખીલી શકે અને ક્ળાકારીગરી વિકસી શકે.
મુક્ત વિદેશવેપારમાં કોઈ મુક્તિ નથી. એ તો ઊલટું, પરદેશની કંપનીઓને આપણું બજાર સોંપી દઈને એમની શેહમાં રહેવાની ગુલામી છે. આપણા અત્યારના અર્થતંત્રમાં પણ કોઈ મુક્તિ નથી, કારણ કે એમાં દેશનું બજાર દેશની થોડીઘણી કંપનીઓના હાથમાં સોંપી દઈને બાકીના કરોડો લોકો એમની આથિર્ક સત્તા નીચે રહે છે. પ્રજાને બેકાર બનાવનાર પરદેશી નહીં પણ દેશી મોટી કંપનીઓ છે. પ્રજાને મુક્તિ તો ત્યારે મળે જ્યારે દરેક સ્થળે પોતાના સ્થાનિક બજાર માટે લોકો પોતે ઉત્પાદન કરે. એ શક્ય પણ છે, કારણ કે દરેક સ્થળે સ્થાનિક બજાર માટેનું સ્થાનિક ઉત્પાદન બીજા કોઈ પણ ઉત્પાદન કરતાં ઘણું વધારે સસ્તું છે. એમાં લોકોને મુક્તિ જ નહીં, સમૃદ્ધિ પણ મળે, કારણ કે સ્થાનિક બજાર માટેના ઉત્પાદન માટે યંત્રોની જરૂર ન રહે અને સહુને રોજી મળે. બીજી બાજુ એમાં વાહનવ્યવહારથી માંડીને બૅન્કો સુધીનાં તંત્રોની જરૂર પણ ન પડે. એટલે એ અઢળક ખર્ચનો અત્યારનો અસહ્ય બોજો હળવો થાય. સ્થાનિક બનતી વસ્તુઓ આપણને સસ્તી પણ પડે અને સહુને રોજી મળવાથી સહુ તે મેળવી પણ શકે.
ગાંધીજીએ જે ‘સ્વદેશી’ વસ્તુઓ વાપરવાનું કહ્યું હતું તેનો અર્થ પણ દેશી નહીં પણ સ્થાનિક બનતી વસ્તુઓ છે. દાખલા તરીકે એમણે કહ્યું હતું બિહારનો માણસ મુંબઈમાં બનતું કાપડ પહેરે એ સ્વદેશી નથી. પોતાના ગામમાં બનતું કાપડ પહેરે એ જ સ્વદેશી છે. પોતાના ગામમાં જો કોઈ વસ્તુ ન બની શકે તો પોતાના જિલ્લામાં બનતી વસ્તુ લે. પોતાના ગામમાં અને બાકી રહે તે જિલ્લામાં આપણને જરૂરી બધી વસ્તુઓ, અને તે સુંદર ગુણવત્તાની, બનાવવાનું શક્ય છે.
આ વાત સ્થાનિક છે અને સાથે જગતવર્તી પણ છે. કારણ કે એ બધાં જ સ્થળે, બધા જ દેશોમાં શક્ય છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ આજે બજારો શોધવા મરણિયા પ્રયાસો કરી રહી છે પરંતુ તેઓ અનિવાર્યપણે જે વ્યાપક બેકારી સર્જે છે તેને કારણે એમને બજારો મળેલાં હશે તો પણ તે મરેલાં હશે. ગૅટના યે ગૅટ કરારો લાવે તો પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ લાંબુ ટકી શકે એમ નથી. ગંજાવર મોટે પાયે કરેલું ઉત્પાદન વેચી નહીં શકે ત્યારે નફાને બદલે ખોટમાં જશે.
ભવિષ્યની દુનિયામાં સ્થળસ્થળે સ્થાનિક બજારો માટે સ્થાનિક ઉત્પાદન થશે. આજે જેમ લોકો પોતપોતાને ત્યાં પોતાનો ખોરાક રાંધે છે તેમ પોતપોતાના ગામમાં પોતાને જરૂરી વસ્તુઓ થોડી જ મહેનત અને સમયમાં બનાવશે, તેથી સમૃદ્ધ તેમ જ સ્વતંત્ર હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org