________________
આવા સંજોગોમાં ‘વિકાસ’નો ખ્યાલ તેનો આશાજનક અર્થ ગુમાવતો જાય છે. ધીરેધીરે તેની જગ્યાએ ‘સલામતી'નો ખ્યાલ સ્થાન જમાવતો જાય છે —અલબત્ત, ઉત્તર ગોળાર્ધની દૃષ્ટિએ સલામતી. વિકાસના નામે ચાલતી એવી ઘણી યોજનાઓ જોવા મળે છે, જેમાં અમુક દેશને પ્રગતિને પંથે આગળ વધારવાને બદલે તેને કોઈ ને કોઈ કટોકટીમાંથી ઉગારી લેવાનો ખ્યાલ મુખ્ય હોય છે, અને તેટલાથી જ સંતોષ માની લેવો પડે છે. એક વખત એવો હતો કે પાછળ રહી ગયેલા દેશોએ ઉત્તર ગોળાર્ધના ઔદ્યોગિક દેશોને ‘આંબી જવાના છે' –એવી વાત મુખ્ય હતી. આજે કયાંક સંકટથી ઘેરાઈ ન જવાય, એ વસ્તુ જ નજર સામે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા-વિચારણાનો વિષય જ હવે બદલાઈ રહ્યો છે. અગાઉ જાગતિક પરિષદોમાં એ બાબતની ચર્ચા મુખ્ય રહેતી કે દુનિયાની આર્થિક વૃદ્ધિમાં દક્ષિણ ગોળાર્ધના દેશોનેયે કઈ રીતે વધુ ને વધુ સામેલ કરી શકાય. આજે જાગતિક પરિષદોનો મુખ્ય વિષય એ છે કે આવી વૃદ્ધિના અતિરેકને અંકુશમાં શી રીતે રાખી શકાય. સરકારો બધી ચિંતિત છે કે બાયોસ્ફિયરને થતી હાનિ કેમ રોકવી, સાગરોનું થતું પ્રદૂષણ કેમ અટકાવવું, ઓઝોન પટમાં પડેલ ગાબડું કેમ પૂરવું, પૃથ્વીનું વધી રહેલ તાપમાન કેમ ઘટાડવું. આજે ચારેકોર પુછાઈ એ રહ્યું છે કે વાતાવરણમાં છોડાતા કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે કે નહીં, અને કેટલા સમયમાં ? ઊભી થયેલ પર્યાવરણીય સમસ્યાઓથી થતા નુકસાન માટે કોણ કેટલું વળતર માગી શકે ? આંતરરાષ્ટ્રીય વાટાઘાટો આજે સંપત્તિની વહેંચણીને બદલે જોખમોની વહેંચણી ઉપર કેન્દ્રિત થઈ છે.
આને લીધે ઉત્તરના દેશોની ભૂમિકામાંયે ફરક પડી ગયો છે. ટ્રુમેનને ગૌરવ હતું કે અમેરિકા સગીર ગણાય એવી પ્રજાઓના વાલી બનીને સામ્રાજ્યવાદની દષ્ટિએ પોતાનું પ્રભુત્વ સ્થાપવાને બદલે દુનિયા આખીની સમૃદ્ધિ સાધવા મથશે. આ હેતુથી જ ‘સહાય’ અને ‘સહયોગ’ માટેની વિશ્વ સંસ્થાઓ ઊભી કરવામાં આવેલી.
પરંતુ આજના જાગતિક રંગભેદના વાતાવરણમાં હવે આમાંનું ભાગ્યે જ કશું બચ્યું છે. આજે ઉત્તરના દેશોને ચિંતા પોતાની સલામતીની પેઠી છે. દક્ષિણના દેશોનું પતન થાય તેની અસર પોતાને ન પહોંચે એવું કરવા તેઓ
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org