________________
લેખક દૃષ્ટિસંપન્ન સાધક છે. ચાલુ સ્તવનો કે શ્રીપાળ રાસમાંથી પણ અંતરંગ સાધનાના માર્ગસ્થંભોને તેઓ શોધે છે, ઝીલે છે અને આપણી પાસે મૂકે છે. ઉદાહરણો ઉપરથી માલૂમ પડે છે કે, સાધનાવિશ્વના ખૂણેખૂણામાં લેખકની દૃષ્ટિ ફરી વળી છે, જ્યાંથી એ માર્ગમાં ગતિ-પ્રગતિ થઈ શકે તે માર્ગને શોધી ભાવકો સમક્ષ મૂક્યો છે તેમણે. શ્રી ચિદાનંદજી, શ્રી દેવચંદ્રજી તો એમના પ્રિય સર્જકો છે, સાધકો છે. તેઓની કડીને વારંવાર તેઓ ઉલ્લેખે છે. સાધકની ભીતરી યાત્રાનો નકશો આપણને આમ તેઓ હાથવગો કરી આપે છે.
આ બધી વાતો અંતરંગ સાધનાની છે, તે ભૂલી ન જવાય માટે શ્રીસંઘે ચીવટથી આમાંથી પસાર થવું જોઈએ. બહિરંગ સાધના કરતાં કરતાં આ અનુલક્ષ્ય-પ્રયોજન વીસરી ન જવાય તેનો અંદાજ અહીં મળશે.
ભીતરી યાત્રાનો માર્ગ એ યોગ છે. તેની ઘણી કેડીઓ છે.
એક સાદી વાત કરીએ તો વિભાવો અને વિકથાઓ આત્મદૃષ્ટિએ નિઃસાર છે. માટે તેમાં મનુષ્યભવની આયુષ્યમર્યાદાને અને વિશિષ્ટ શક્તિને ન ખરચવાં, પણ જ્યાં છીએ ત્યાંથી ઉપર ઊઠવા માટે સહાયક રૂપે ખપમાં લેવા.
શાસ્ત્રના પુષ્કળ સંદર્ભો આપીને, ઈતર સાધકોના અનુભવો શોધીને સાધકને ઊંચે લઈ જવાના પુષ્કળ પ્રયત્નો અહીં થયા છે.
સાધકે વિષયકષાયના કીચડમાં આળોટવાનું નથી. તેના માટે ઊર્ધ્વલોક રાહ જુએ છે. બહિરંગ રસ્તાની સીમા આવી જાય છે. જ્યારે ભીતરી યાત્રા તો અસીમ હોય છે. એ રસ્તે ચાલવાનું આમંત્રણ લેખક આપે છે. શરૂ શરૂમાં તો આંગળી પકડવા પણ તૈયાર છે. જેમકે ચૈત્યવંદના કરીને પ્રભુનો પ્રશમરસ પોતાના તરફ વહી આવે છે એ ધારણાની રીત મઝાની બતાવી છે. અહમ્ વિલીનીકરણ એ સાધનાનું દ્વાર છે એ વાત સરસ રીતે મુકાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org